રાષ્ટ્રીય જનતા દળના( રાજદ) અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે એમ્સને (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ ) પત્ર લખીને સ્પષ્ટ કહ્યું છેકે, મારી તબિયત હજી ઠીક નથી થઈ, મારે હજી તબીબી સારવારની જરૂર છે , આથી મને હજી એમ્સમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. હું હજી હૃદયરોગ, કીડની ઈન્ફેકશન, ડાયાબીટિસ જેવા રોગોથી પીડાઈ રહ્યો છું. મને વારંવાર ચક્કર આવે છે. હુ અનેકવાર બાથરૂમમાં પડી ગયો છું.મારી આ બધા રોગોની સારવાર ચાલે છે . દરેક નાગરિકનો એ મૂળભૂત બંધારણીય અધિકાર છેકે એની બીમારીની સારવાર એની ઈચ્છા મુજબ અને સંતોષકારક રીતે થાય. મને ખબર નથી કે કયા રાજકીય દબાણને વશ થઈને મને અહીંથી હટાવવામાં આવી રહ્યો છે…જો મને કશું પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે આવશે.
લાલુપ્રસાદ હાલમાં ઘાસચારા પ્રકરણના એક કેસમાં આરોપી તરીકે જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યાં એમની તબિયત બગડતાં એમને રાંચી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં એમની તબિયત વધુ બગડતાં એમને નવી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાયા હતા. ત્યાં એક મહિના સુધી તેમની સારવાર થઈ હતી. ત્યાર બાદ તાજેતરમાં તેમની તબિયત હવે ઠીક થઈ ગઈ છે એવું કારણ જણાવીને તેમને એમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જેને કારણે લાલુપ્રસાદે ગુસ્સો પ્રગટ કરીને સત્તાવાળાને પત્ર લખ્યો હતો