રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ પિનાકિચંદ્ર ઘોષને ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. શ્રી ઘોષ મે, 2017માં નિવૃત્ત થયા હતા. તેઓ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિ્તિમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન, કાયદાવિદ્ મુકુલ રોહતગી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકારી વહીવટીતંત્રના ભ્રષ્ટાચારની તપાસનો અધિકાર લોકપાલ પાસે રહેશે. લોકપાલ દેશની વરિષ્ઠ તપાસ એજન્સીઓને પણ નિર્દેશ આપી શકશે. તપાસની સીમામાં વડાપ્રધાનના હોદા્નો પણ સમાવેશ કરાયો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને જે પગાર- ભથ્થાઓ અને સુવિધાઓ મળે છે, તે દરજ્જાની સુવિધાઓ લોકપાલને પણ આપવામાં આવશે. એ જ રીતે રાજ્યોના સરકારી વહીવટીતંત્રમાં વહીવટ સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુકત રહે તે જોવાની જવાબદારી લોકાયુક્તની રહેશે.