ઈસ્લામ મજહબમાં અતિ પવિત્ર ગણાતા રમજાન પ્રસંગે કેરળના એક મંદિરમાં ઈફ્તારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 700 જેટલા મુસ્લિમો ઉપસ્થિત રહેશે અને તેમને માટે સંપૂર્ણ શાકાહારી ભોજનની વ્યવસ્થા મંદિરના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. શાકાહારી બિરયાની અને મિષ્ટ પકવાન બનાવવામાં આવ્યા હતા. કેરળના કોટ્ટાકલ ખાતે આવેલા ભગવાન વિષ્ણુના મંદિરમાં ઈફતાર પ્રસંગે મુસ્લિમ બિરાદરો માટે વિવધ પ્રકારના શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ફળ, ફળોના રસ તેમજ અન્ય પીણાંઓનો પણ સમાવેશ થતો હતો. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, જયાં વિવધ ધર્મો પાળતા જનસમુદાય સંપથી સાથે રહે છે. એ ભારત દેશની સંસ્કૃતિ અને સંસ્કારની સાચી ઓળખ છે. આ મંદિરની વ્યવસ્થા સમિતિના સચિવ મોહન નાયરે કહ્યું હતું કે, લોકોમાં શાંતિ , સુલેહ અને એકતાની ભાવના જાગૃત કરવાના આશયથી જ આ પ્રકારે દર વરસે રમજાન પ્રસંગે ઈફતારનું આયોજન કરવામાં આવે છે.