ગત સપ્તાહમાં મુંબઈના અતિ જાણીતા ઉપનગર બાંદ્રા (પશ્ચિમ) રેલવે સ્ટેશનની બહાર એકઠા થયેલા બિહાર અને ઉત્તરપ્રદેશના નિવાસી દાડિયા મજૂરો પોતાના વતનમાં પાછા જવા માટે માગણી કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં એકત્ર થયેલા આ મજૂરોના સમુદાયને કોઈકે માહિતી આપી હતી કે રેલવે-ટ્રેનની વ્યવસ્થા ચાલુ કરાઈ છે , જેથી તેઓ પોતાના ગામે પરત જઈ શકે. લોકડાઉનને કારણે મુંબઈમાં નોકરી વિના બેસવાનો કોઈ અર્થનથી. તેમને રહેવા – ખાવાનો સરકાર તરફથી કોઈ પ્રબંધ કરાયો નથી. લોકડાઉનના સમયગાળામાં એકત્રિત થયેલા મજદૂર સમુદાયને પોલીસ અધિકારીઓએ સમજાવ્યા હતા. રાજ્ય સરકારે પણ તેમના રહેવાની તેમજ ભાોજનની વ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો હતો. લોકોને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાના પ્રયાસો કરનારા કેટલાક અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ પણ કરી હતી.