માલદીવમાં હાલમાં રાજકીય કટોકટી ચાલી રહી છે. માલદીવના હાલના સત્તાધીશ પ્રમુખ અને દેશની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશે આપેલા આદેશની અવગણના બાદ સમગ્ર માલદીવમાં અરાજકતાની પરિસ્થિતિ પ્રવર્તે છે. માલદીવમાં અહેવાલ મેળવવા ગયેલા બે ભારતીય પત્રકારો- ખબરપત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને પત્રકારો સમાચાર સંસ્થા એએફપીમાં કામગીરી બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્તમાહિતી અનુસાર, અમૃતસરના પત્રકાર મણિ શર્મા અને લંડનમાં રહીને ફરજ બજાવતા આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરાઈ હતી. ભારતનું વહીવટીતંત્ર માલદીવ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું હોવાનું કહેવાય છે.