છેલ્લા 12 દિવસથી માલદીવમાં રાજકીય સંકટ ચરમ સીમાએ છે. પરસ્પર હિંસક અથડામણો અને કાયદો તથા વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિએ આમ જનતાના જીવનને અરાજકતાની ગર્તામાં ધકેલી દીધું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીય અગ્રલેખમાં ચીને ભારત સામે ધમકીની ભાષા ઉચ્ચારી છે. આ અખબારે તંત્રીલેખમાં જણાવ્યું છે કે., જો ભારત માલદીવના મામલામાં હસ્તક્ષેપ કરશે તો એના ગંભીર પરિણામો ભોગવવા એણે તૈયાર રહેવું પડશે. હાલની સ્થિતિમાં ભારતે સંયમથી વર્તવું જોઈએ એવી સલાહ પણ અખબારે આપી છે. માલદીવનું રાજકીય સંકટ એ એની આંતરિક બાબત છે, એમાં બહારના કોઈ દેશે ડખલગીરી કરવી યોગ્ય નથી. જો ભારત આવો કોઈ પ્રયાસ કરશે તો ચીન એને અટકાવવા માટે કાર્યવાહી કરશે.