ભારત-બાંગ્લાદેશ સંબંધને કોઈ તોડી નહીં શકેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કોલકાતાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે કોલકાતામાં જોરાસાંકો ઠાકુરબારીમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહમંત્રીએ પાછળથી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ઈન્ટિગ્રેટેડ-ચેક પોસ્ટ (આઈસીપી) પેટ્રાપોલમાં લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (LPAI) અને BSFના કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન પણ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર કનેક્ટિવિટી માટે BSFના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર કનેક્ટિવિટી માટે BSFના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. ભારત અને બાંગ્લાદેશની મિત્રતા ઘણી ઊંડી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પરસ્પર સંબંધો અંગે અમિત શાહે કહ્યું કે, ભારત બાંગ્લાદેશ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. આપણી સંસ્કૃતિ, ધર્મ, રીતરિવાજો અને જીવનશૈલી હજારો વર્ષોથી એકબીજા સાથે જોડાયેલી છે. બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધો ક્યારેય કોઈ તોડી શકશે નહીં. બાંગ્લાદેશના ઈતિહાસમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે.
પડોશીઓ સાથેના સંબંધોને મજબૂત કરવામાં લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભૂમિકાની પ્રશંસા કરતા શાહે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17માં LPAI દ્વારા 18,000 કરોડ રૂપિયાનો વેપાર હવે 30,000 કરોડને વટાવી ગયો છે. LPAI માત્ર દેશની અર્થવ્યવસ્થાને જ મજબૂત કરતું નથી, પરંતુ તે આપણા પડોશીઓ સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ગૃહમંત્રીએ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભૂમિકાની પ્રશંસા કરી અને તેને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી.
વધુમાં અમિત શાહે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે 2014થી બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુધારવા પર ભાર મૂક્યો છે. અમારી નીતિ સ્પષ્ટ છે. વેપાર અને વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે અમે સરહદી વિસ્તારોમાં મજબૂત પાયાના માળખા અને સારી કનેક્ટિવિટી ઈચ્છીએ છીએ. તેમણે દેશની સરહદોની સુરક્ષામાં BSFની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
અમિત શાહ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર જતા પહેલા રવીન્દ્રનાથ ટાગોરના જન્મસ્થળ કોલકાતામાં ઠાકુરબારી ગયા હતા. અહીં તેમણે પહેલા ટાગોરની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા, પછી તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી. અહીં શાહે ટાગોરની જૂની તસવીરોને નમન કર્યા અને કવિતાઓ વાંચી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here