બિહાર વિધાનસભામાં NDA સ્પષ્ટ બહુમતીઃ નીતિશ કુમાર ચોથી વખત CM બનશે

 

પટના/નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને મળેલી ઐતિહાસિક જીતનો આજે સાંજે દિલ્હી ભાજપ મુખ્યાલય પર જશ્ન મનાવવામાં આવશે. એનડીએને સ્પષ્ટ બહુમતિ મળી ગઈ છે અને ભાજપ એનડીએમાં બિગ બ્રધરની ભૂમિકામાં છે. દિલ્હી ભાજપ હેડક્વાર્ટર ખાતે સાંજે ૬ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉજવણીમાં સામેલ થશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હાજર રહેશે. ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી ઉપરાંત ૫૯ પેટાચૂંટણીમાંથી ૪૦ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ભાજપ માટે આ જીત ઘણું મહત્ત્વ ધરાવે છે. બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ૧૬ કલાકની મહેતનના અંતે ચિત્ર સ્પષ્ટ થયું છે. તેજસ્વી યાદવની તનતોડ મહેનત છતા આખરે નીતિશ કુમારની વાપસી નક્કી થઈ ગઈ છે. એનડીએને ૧૨૫ બેઠકો મળી છે. જ્યારે મહાગંઠબંધનને ૧૧૦ બેઠકો મળી છે. એક બેઠક એલજેપીને મળી છે તેમજ સાત બેઠકો પર અન્યના ફાળે રહી છે. ૨૪૩ બેઠકો પૈકી ૧૨૨ બેઠકો બહુમતી માટે જરૂરી હતી. એનડીએના ખાતામાં ૧૨૫ બેઠકો આવતા હવે નીતિશ કુમાર ચોથી વખત મુખ્યમંત્રી બની શકે છે. જો કે ૨૦૧૫માં નીતિશ કુમારની જેડીયુનો જે દેખાવ હતો તેના કરતા દેખાવ નબળો રહ્યો છે. ૭૧ બેઠકો પૈકી ફક્ત ૪૩ બેઠકો જ જેડીયુને મળી છે.

આરજેડી સીંગલ લાર્જેસ્ટ પાર્ટી બની

તેજસ્વી યાદવે બિહારના યુવા ચહેરા તરીકે પોતાનો તેજ બતાવતા બિહારમાં આરજેડીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનાવવામાં સફળતા મેળવી છે. આરજેડીને ૭૫ બેઠકો મળી છે અને તે સૌથી મોટો પક્ષ રહ્યો છે. બીજા ક્રમે ભાજપ છે જેને ૭૪ બેઠકો મળી છે. જેડીયુનું ગણતિ એલજેપીના ચિરાગ પાસવાનને લીધે ખોરવાયું હતું. એલેજેપી ફક્ત એક બેઠક જીતી શકી હતી પરંતુ તેણે નીતિશકુમાર જેડીયુની ૩૦ બેઠકોને નુકસાન પહોંચાડ્યું હતું અને જેડીયુને ફક્ત ૪૩ બેઠકો મળી હતી.  

૨૪૩માંથી કોને કેટલી બેઠકો મળી

ભાજપ- ૭૪, જેડીયુ- ૪૩, હિન્દુસ્તાન આવામ મોરચા- ૪, વીઆઈપી-૪, રાજદ-૭૫, કોંગ્રેસ ૧૯, એઆઈએમઆઈએમ-૫, સીપીઆઈ- એમ-એલ એલ -૧૨, સીપીઆઈ- ૨, સીપીઆઈ-એમ-૨, એલજેપી-૧, બીએસપી-૧, અપક્ષ-૧.

નીતિશ કુમારને નામે થશે આ રેકોર્ડ

બહુ જૂની કહેવતને ચૂંટણીના છેલ્લા તબક્કામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉચ્ચારી અને ચૂંટણીના પરિણામ સ્વરૂપે મતદારોએ જવાબ આપ્યો. તો આ જ કહ્યું ‘અંત ભલા તો સબ ભલા’. એક્ઝિટ પોલ બાદ નીતિશ કુમારની ઓફિસ પર સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં પરિણામ બાદ તીર છાપ ઝંડો ફરકવા લાગ્યો. કોઈપણ ચૂંટણીમાં મતની ગણતરી અને પરિણામ તેના અંતનો પરિચય હોય છે. નીતિશ કુમાર માટે ચૂંટણીનો રસ્તો ગમે તેટલો કાંટાળો રહ્યો હોય. પરંતુ અંત ભલા તો સબ ભલા. ભલે તેમની સીટો ઓછી થતી ગઈ. પરંતુ સત્તાવિરોધી લહેરની વચ્ચે તે જીતની હોડી પાર કરવામાં સફળ રહ્યા. ભલે તેમની જુનિયર પાર્ટનર બીજેપી બિગ બ્રધરની ભૂમિકામાં આવી ગઈ. પરંતુ ટેલિવિઝન પર એનડીએની જીત જોઈને પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠા-બેઠા તે હસી રહ્યા હશે. કારણ કે તાજપોશી તો તેમની જ થશે. ચૂંટણી પહેલાં બીજેપી સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકી હતી કે એનડીએ જીતશે તો મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ હશે. નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે તો તે એક રેકોર્ડ બનાવી દેશે અને તે છે સૌથી વધારે મુખ્યમંત્રી પદના શપથ લેવાનો. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે તો ૭મી વાર શપથ લેશે. 

સૌથી પહેલા ૩  માર્ચ ૨૦૦૦માં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ બહુમતના અભાવમાં સાત દિવસમાં તેમની સરકાર પડી ગઈ હતી. ૨૪ નવેમ્બર ૨૦૦૫માં બીજી વાર તેમની તાજપોશી થઈ. ત્યારબાદ ૨૬ નવેમ્બર ૨૦૧૦માં ત્રીજીવાર. ૨૦૧૪માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. પરંતુ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫માં ચોથી વાર મુખ્યમંત્રી બન્યા. ૨૦ નવેમ્બર ૨૦૧૫માં પાંચમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. પછી આરજેડીનો સાથ છોડ્યો તો ભાજપની સાથે ૨૭ જુલાઈ ૨૦૧૭માં છઠ્ઠી વાર તાજપોશી થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here