ગાંધીનગરઃ દેશ-દુનિયામાં વસતા ગુજરાતીઓ પોતાના ગામ માટે કંઇ કરવાની ઇચ્છા પુરી કરી શકે અને તેમના દાન મારફતે ગામમાં સુવિધાઓ ઉભી થાય તે માટે રાજ્ય સરકારે બજેટમાં જાહેર કરેલી ‘માદરે વતન યોજના’નો અમલ શરૂ કરાયો છે. આ યોજના હેઠળ પચ્ચીસ કામોની યાદી જાહેર કરવામાં આવી છે. દાતાઓ કામના કુલ ખર્ચના ૫૦ ટકા રકમ આપશે તો તેમની તકતી મુકાશે. બાકીની રકમ રાજ્ય સરકાર ઉઠાવશે. આ યોજના હેઠળ ગામમાં પાકા રોડ, ચોરો, પંચાયત ઘર, સ્કૂલ, સ્કૂલના ઓરડા, સ્માર્ટ ક્લાસ, પીવાના પાણીની સુવિધા, એસટી પીકઅપ સ્ટેન્ડ, સ્મશાન ગૃહ કે કબ્રસ્તાન, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ, કચરા નિકાલની વ્યવસ્થા, લાયબ્રેરી, ગામનું પ્રવેશ દ્વાર વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.