પાર્ટી અને પંજાથી મોટું કોઇ નથીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

 

દાહોદઃ ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગુજરાતના દાહોદ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક કરી હતી. અહેવાલ મુજબ, આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ રાહુલની સામે અનેક માંગણીઓ મૂકી હતી. સાથે સાથે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી રણનીતિકારની ઈચ્છા પણ વ્યક્ત કરી હોવાનું પણ કહેવાય છે. ૧૮૨ વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી મતદાતાઓને રીઝવવા એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આદિવાસીઓ સાથે મુલાકાત કર્યાબાદ તેમણે બંધ બારણે કોંગ્રસના ધારાસભ્યો સાથે બેઠક બોલાવી હતી. અહેવાલ પ્રમાણે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિકાર બનવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. કોંગ્રેસના નેતાઓએ કથિત રીતે ચૂંટણી રણનીતિકારની માંગણી કરી છે જે જમીની સ્તરે મજબૂત રણનીતિ ઘડી શકે છે.

અહેવાલો અનુસાર, બેઠક દરમિયાન પાર્ટીના ધારાસભ્યોએ કથિત રીતે રાહુલ ગાંધીને ગુજરાતના વધુ પ્રવાસોનું આયોજન કરવા અને વધુ રેલીઓ અને રોડ શો કરવા કહ્યું છે. આ સિવાય પાર્ટી નેતૃત્વએ વડા પ્રિયંકા ગાંધી પણ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં આવે તેવી માંગ કરી છે. રાજ્યના પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં પાર્ટી માટે મજબૂત ચહેરાની માંગ કરી છે. ધારાસભ્યોએ રાહુલને કહ્યું છે કે, પાર્ટીનો ચહેરો કોઈ પણ વિવાદમાં ન ફસાવો જોઈએ અને દરેક જ્ઞાતિમાં તેનો સ્વીકાર થવો જોઈએ.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલા ધારાસભ્યોને વધુ તક આપવાની માંગ કરી છે. સાથે જ એ પણ સહમતિ બની કે, રાજ્યમાં વધુ મહિલા ધારાસભ્યો હોવા જોઈએ. અહેવાલ પ્રમાણે, ગોપનીયતાની શરતે બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું હતું કે, કોઈએ એવું ન વિચારવું જોઈએ કે તેઓ પાર્ટીથી ઉપર છે. પાર્ટી અને પંજો પહેલી પ્રાથમિકતા છે કોઈ એક વ્યક્તિ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here