પંજાબમાં ૧૭માં મુખ્યપ્રધાન તરીકે ભગવંત માનના શપથ 

 

પંજાબઃ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ પંજાબના ૧૭માં મુખ્યમંત્રી બન્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમારોહ શહીદ ભગતસિંહના ખટકડકલાં ગામમાં થયો હતો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તાજેતરના પરિણામોમાં આપે પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકોમાંથી ૯૨ બેઠકો જીતી છે. ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ભગવંત માનને પદના શપથ લેવડાવ્યા હતા. ભગવંત માન આવ્યા ત્યારે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. રાજ્યપાલે શપથ લેવડાવ્યા અને ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. શપથ લીધા બાદ રાજયપાલ વિદાય થયા ત્યારબાદ ભગવંત માને જનમેદનીને સંબોધન કર્યું હતુ. 

શપથ લીધા બાદ ભગવંત માને કહ્યું, હું બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અહંકાર ન કરવાની અપીલ કરું છું. જેમણે અમને વોટ નથી આપ્યા તેમને પણ આપણે માન આપવું પડશે. હું આપ સૌનો અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. ભગવંત માન પીળી પાઘડી પહેરે છે. શહીદ ભગતસિંહ પણ પીળી પાઘડી પહેરતા હતા. આ બસંતી (પીળો) રંગ ભગવંત માનના શપથ ગ્રહણમાં શણગારમાં પણ વપરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિન્દર સિંહને બદલીને કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે મોટે ભાગે લાલ રંગની પાઘડી પહેરતા હતા. ખાસ પ્રસંગોએ પણ તે લાલ પાઘડી અને સફેદ શાલ પહેરતા હતા. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંતસિંહ સફેદ પાઘડી પહેરતા હતા. પંજાબના રાજકારણમાં અકાલી દળની પાઘડીનો રંગ વાદળી માનવામાં આવે છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ મોટાભાગે વાદળી પાઘડી પહેરતા હતા. પ્રકાશ સિંહ બાદલના પુત્ર સુખબીર સિંહ બાદલ પણ વાદળી પાઘડી પહેરે છે.