ઇસ્લામાબાદઃ ભારતમાં એનઆરસી અને સીઐએને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટેનિયોએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્રીય સ્તરનો કાયદો ઘડવામાં આવે ત્યારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એનાથી જે-તે દેશમાં રહેતા લોકો દેશ વગરના જ ન થઈને રહી જાય.
પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાત માટે આવેલા સંયુક્ત રાષ્ટ્રના વડાને જ્યારે ભારતમાં સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે પૂછવામાં આવ્યું કે શું તમે જે કંઈ ચાલી રહ્યું છે એને લઈને ચિંતિત છો? તો જવાબમાં યુએન વડાએ કહ્યું હતું કે હા, જરૂર હું ચિંતિત છું, કેમ કે આ એક એવો મુદ્દો છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર પણ ધ્યાન રાખી રહ્યું છે. તેમણે રેફ્યૂજી અંગે આ નિવેદન આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રોના વડાએ વધુમાં કહ્યું હતું કે હાલ શરણાર્થીઓ માટે અમારા હાઇ કમિશનર વર્તમાન સ્થિતિઓને લઇને ચિંતિત છે, એવી જ રીતે જે રીતે અન્ય લોકો પણ ચિંતિત છે, કેમ કે જો આવા કાયદાઓનો અમલ કરવામાં આવશે તો એક સમય એવો આવશે કે લાખો નાગરિકો કોઈ દેશ વગરના જ થઈને રહી જશે. જ્યારે કોઈ નાગરિકતા કાયદો બદલવામાં આવે છે ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે-તે દેશના લાખો લોકો દેશ વગરના જ થઈને ન રહી જાય.
આસામમાં એનઆરસી લાગુ કરી દેવાયો છે અને એ અંતર્ગત હવે એ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ૧૯ લાખ લોકો પોતાની નાગરિકતા પુરવાર નથી કરી શક્યા તેમનું હવે શું થશે અને જો તેઓ ભારતીય નાગરિક નથી તો ક્યાંના નાગરિક છે? એવો સમય પણ આવી શકે છે કે તેઓ કોઈ દેશ વગરના જ બનીને રહી જાય વગેરે ચિંતાઓ સંયુક્ત રાષ્ટ્રના વડાએ પણ વ્યક્ત કરી હતી.
અગાઉ એવા પણ દાવા થયા હતા કે દેશભરમાં એનઆરસી લાગુ કરવામાં આવી શકે છે. જોકે બાદમાં વડા પ્રધાને કહ્યું હતું કે આ અંગે હાલ કોઈ જ વિચારણા નથી. બીજી તરફ યુએન વડા પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા, પણ તેમણે પાક.ના આતંકવાદ મુદ્દે કોઈ ખાસ નિવેદન નથી આપ્યું, તેથી અનેક સવાલો ઊઠી રહ્યા છે