નવી દિલ્હી: દેશમાં શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે. તેને પગલે દેશમાં મેડિકલ એજ્યુકેશન એટલે કે તબીબી શિક્ષણ પાછળ થતો અસહ્ય ખર્ચનો બોજ માતા–પિતા ઉઠાવી શકતા નહિ હોવાથી વિદ્યાર્થીઓએ યુક્રેન જેવા દેશોમાં જવાની ફરજ પડે છે, તેમ એક કેસની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી છે. સરકારને અનેક ફાર્મસી કોલેજો ખોલવાની પરવાનગી આપવા સાથે આદેશ આપવાને લગતી બાબતો અંગે અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ બી. આર. ગવઇને અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ કહ્યુ ંકે સૌ કોઇ સારી રીતે વાકેફ છે કે દેશમાં આજે શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે. શિક્ષણના આ કારોબારને મોટા મોટા ઔદ્યોગિક સમૂહો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. હવે દેશે આ અંગે વિચાર કરવો જોઇએ. દેશમાં મેડિકલ એજ્યુકેશન પાછળનો ખર્ચ ખૂબ જ વધારે થઇ ગયો છે તેને લીધે વિદ્યાર્થીઓએ ભારત છોડીને યુક્રેન જેવા અન્ય દેશોમાં જવું પડી રહ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટ સમક્ષ કર્યું કે દેશમાં જે પ્રકારની સ્થિતિ છે તેની ઉપર ધ્યાન આપવું જોઇએ. કોલેજોએ જ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે તેમણે સરકારી નિયંત્રણને લીધે જ બે વર્ષનો સમયગાળો ગુમાવી દીધો છે. અમે વિદ્યાર્થીઓની અરજીને સમજી શકીએ છીએ. પણ કોલેજો એક ઉદ્યોગ બની ચૂકી છે. દેશમાં ફાર્મસી કોલેજોની અસાધારણ સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે એ વાતને લઇને કોઇ શંકા નથી કે દેશમાં શિક્ષણ એક ઉદ્યોગ બની ગયો છે અને તે મોટા બિઝનેસ હાઉસિસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તુષાર મેહતાએ સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે આ પ્રકારની કોલેજોની સંખ્યા વધી રહી હતી. માટે અમે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.