કાઠમંડુઃ ગૃહમાં ટ્રસ્ટ વોટ ગુમાવ્યા બાદ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલીને મોટો ફટકો પડતાં સોમવારે નેપાળની સુપ્રીમ કોર્ટે લગભગ પાંચ મહિનામાં બીજી વખત ગૃહ પ્રતિનિધિ સભા ફરીથી સ્થાપિત કરી. વળી, નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાની વડા પ્રધાન તરીકે નિમણૂક થવી જોઈએ. નેપાળના વડા પ્રધાન કેપી શર્માની ભલામણ પર રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ પાંચ મહિનામાં બીજી વખત સંસદનું નીચલું ગૃહ ભંગ કરવાની અને મધ્ય-ગાળાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી. વિદ્યા દેવી ભંડારીના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં વધુ ૩૦ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નેપાળની સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સોમવારે રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીના નિર્ણયને પલટાવ્યો હતો. કોર્ટે સંસદને ફરીથી સ્થાપિત કરી. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણ પીઠે પણ સોમવારે આદેશ આપ્યો હતો કે નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાને બે દિવસમાં વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર રાણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે ગત સપ્તાહે સુનાવણી પૂર્ણ કરી હતી. બેંચમાં સુપ્રીમ કોર્ટના ચાર અન્ય વરિષ્ઠ-ન્યાયાધીશો પણ શામેલ છે. ૨૨ મેના રોજ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન ઓલીની ભલામણ પર પાંચ મહિનામાં બીજી વખત ૨૭૫ સભ્યોની નીચલા ગૃહનું વિસર્જન કર્યું , ૧૨ અને ૧૯ નવેમ્બરના રોજ મધ્ય-ગાળાની ચૂંટણીઓની જાહેરાત કરી. ચૂંટણી પંચે ગત સપ્તાહે મતદાન અંગેની અનિશ્ચિતતા વચ્ચે મધ્યસત્ર ચૂંટણીના સમયપત્રકની ઘોષણા કરી હતી.