દુહાની મહત્તા અને મૂલ્યવત્તા વર્ણવતા દુહા

0
3760

ગઝલનાં લક્ષણો ગતાવતી – સમજાવતી ઘણી ગઝલો મળે છે. રાજેન્દ્ર શુક્લની સમજનો સુંદર પરિચય પણ આવી એમના દ્વારા રચાયેલી ગઝલો દ્વારા પ્રાપ્ત થાય છે. મેં થોડા આ પ્રકારના દુહા શોધ્યા કે જેમાં દુહાના સૌંદર્યશાસ્ત્રની વિગત નિરૂપાઈ હોય. દુહા રચયિતાઓએ પોતાના અનુભવમૂલક અર્થઘટનને, સમજણને આધારે દુહાની મહત્તા અને મૂલ્યવત્તાને વર્ણવી હોય છે. દુહાનું બાહ્ય સ્વરૂપ છંદ, વ્યાકરણ, અલંકાર દ્વારા અવશ્ય વર્ણવી શકાય અને વર્ણવાયું હોય છે, પરંતુ દુહાનું આંતરિક સત્ત્વ અને તત્ત્વ આવા દુહાઓમાંથી પ્રાપ્ત થતું હોઈને આવા દુહાઓનું મારી દષ્ટિએ ઘણું મહત્વ છે.
પશ્ચિમના વિદ્વાનોએ અંડરસ્ટેન્ડિંગ પોએટ્રી, અંડરસ્ટેન્ડિંગ નોવેલ, ડ્રામા જેવા ગ્રંથો રચ્યા એમાં આવો વિશિષ્ટ ઉપક્રમ પ્રયોજાયેલો. આપણે ત્યાં કવિ અને કાવ્યમીમાંસક હેમંત દેસાઈએ ‘કવિતાની સમજ’ નામનું આ પ્રકારનું પુસ્તક રચેલું એ ધણું મહત્ત્વનું છે. મારે દુહાની સમજ આપતી પુસ્તિકામાં દુહાના છંદો, અલંકારો ઉપરાંત આવી સૌંદર્યાનુભવ અને અર્થને પ્રગટાવતી સમજ આવા દુહાઓને અનુસંગે મૂકવી છે. મારી ખોજ ચાલે છે. એ સામગ્રીમાંથી થોડા દુહાઓ દુહાના સત્ત્વ, તત્ત્વ વિશેના આસ્વાદીએ.
દુહો દિલ માંય, ઊલટ વિણ આવે નહિ;
ખાવું ખોળા માંય, ભૂખ વિણ ભાવે નહિ.
દિવાળીના દિવસો પૂર્વે વાર્તાકારો, કવિઓ વિવિધ સામયિકોના નિમંત્રણથી રચનાઓના નિર્માણમાં રોકાયેલા હોય છે. ફરમાઇશનો અસ્વીકાર કરનારા કે લખાશે તો મોકલીશ એમ કહેનારા ઓછા નીકળે છે. દુહા રચયિતા કહે છે કે હૃદયમાંથી પ્રસન્નતા વગર દુહો પ્રગટતો નથી, લખાતો નથી. જેમ ખાવાનું ઘણું આપણા ખોળામાં – ભાણામાં હોય, પણ ભૂખ વગર ભાવતું નથી – ખવાતું નથી.
દુહો ત્યારે જ રચાય જ્યારે હૃદયમાંથી કહેવાની – કથવાની ઊલટ – આનંદ ઊઘડે. ચિત્તમાં કશુંક કહેવાની ધખના, કશોક મુદો સ્ફુરે એટલું જ નહિ, પણ એ કહેવા માટે ઊલટ-ઉમંગ થાય તો દુહો રચાય એટલે કહી શકાય કે દુહો પ્રસન્નતાનું પ્રાગટ્ય સ્વરૂપ છે.
દુહો દસમો વેદ, સમજે તેને સાલે;
વિયાતણની વેણ્ય, વાંઝણી શું જાણે?
જેને અનુભવ હોય, જાતની સંડોવણી હોય નિજજ્ઞાન-સત્ય કે દર્શન એમાં હોય. આ કારણથી એને દસમા વેદનું સ્થાન અને માન પ્રાપ્ત થયેલું છે, જે આ સમજે એને જ એ સ્પર્શે, સર્જન કરવા ઉદ્યુક્ત કરે. જે રીતે પ્રસવની પીડાને વ્યંધ્યા સ્ત્રી નથી સમજતી કે જાણતી. વિયાતણની અર્થાત્ પ્રસૂતાની અને વેણ્ય અર્થાત્ પીડા. દુહો આ પીડાનું – નિજ અનુભવનું પોતીકું અર્થઘટન છે. પીડામાંથી પ્રસન્નતાને પામેલો કવિ જ આવા દુહા રચી શકે. એટલે દુહાને કેઓસથી કોસમોસ સુધી માત્રાનો ઉદ્ગાર એમ ઓળખ આપી શકીએ.
દુહાના ડંખેલ, ઘાયલ ઘાને જીરવે;
માથાના મૂકેલ, નંઈ બાબચાં બોબડાં.
દુહાનો ડંખ ઘા તો જે ઘાયલ હોય એને જ સમજાય. એ જ જીરવી શકે. જેમણે માથું મૂકવાની હિંમત કરી છે એને જ એમાંનુ આંતરસત્ય સમજાય. કોઈ બિચારા- બોલ્યા અશક્ત – બીકણનું એને પામવાનું સામર્થ્ય નથી. ભારે મોટું રહસ્ય અહીં નિહિત છે. દુહો સંવેદનશીલ જ નહિ, પણ જેણે પીડાને સમજી છે, અનુભવી છે એ જ દુહાને પામી શકે. આપણી રસશાસ્ત્રની પરિભાષામાં સમસંવેદનશીલ શબ્દ પ્રયોજાયો છે. ઉમાશંકર જોશીએ એમના વિવેચન ગ્રંથનું શીર્ષક જ સમસંવેદન રાખ્યું છે. દુહો સમસંવેદનશીલ ભાવકો માટે છે.
કામણ કર્યાં કમાલ, ખાંભી ખોડી ખડભડે;
પાણા કરે પ્રિતાળ, દુહો અમારા દેશનો.
દુહો ત્યારે કામણ – પ્રભાવ પાથરે છે, એ પાઠથી ખોડાયેલી ખાંભી ખળભળવા લાગે. પથ્થરને પણ ધ્રુજાવવાનું સામર્થ્ય દુહામાં છે. પાણા એની સાથે પ્રીત બાંધે છે. અમારા દેશના દુહાનું આ વ્યક્તિત્વ છે. દુહાના શબ્દો પથ્થરને પણ સ્પર્શી જતા હોય છે. પાણા દુહારચયિતાને ચાહવા લાગે છે. પથ્થર જેવા જડ પદાર્થને પલાળવાનું સક્ષમ તેજ જેમાં છે એ દુહો. રમેશ પારેખ એમના એક લઘુ કાવ્યમાં પથ્થરનો મહિમા કહેતા ગાયું છે.
સ્પર્શ દઈ
પાણી વહ્યું જતું
વહ્ય જતું હશે
ત્યારે પથ્થર જેવા પથ્થરનેય
કંઈક તો થતું જ હશેને
કંઈક તો થતું જ હશેને
દુહો ઢબૂક્તી ઢાલ, નોધારાની ઓથડી;
દુહો તાર-ટપાલ, દુહો દૂત તમામનો.
દુહો ઢાલ બની શકે. દુહો ઓથ બનીને નોંધારાનો આધાર બની શકે. દુહો તાર-ટપાલની માફક સમુચિત વ્યક્તિની પાસે પહોંચી જાય. દુહો તમામનો જાણે કે દૂત છે. એ રીતે દુહો માત્ર રચતા નથી એ કોઈકને માટેનો સંદેશ છે, સમાચાર છે, ખબર છે.
દુહાના આંતરિક ગુણો – લક્ષણો કે ઘટકો દુહા રચયિતાઓએ દુહાના માધ્યમથી પ્રયોજ્યા છે. એના ઊંડા અભ્યાસ થકી એનો મર્મ, એની મહતા અને મૂલ્યવત્તા પમાય છે, પરખાય છે. પ્રણામના અધિકારી છે આવા કારણથી દુહાસર્જકો – દુહાકવિઓ.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here