કેન્દ્રના પ્રધાનમંડળે તલાક-એ- બિદ્ત ( ત્રણ તલાક)ના આરોપીને જામીન આપવાની જોગવાઈ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્રણ તલાક હવે ગેરકાનૂની ગણાશે. એ માટે તલાક આપનાર પતિને 3 વરસની જેલની સજા કરાશે. મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સંરક્ષણ કાનૂની મુસદા્ને લોકસભામાં પસાર કરી દેવાયો છે, પણ રાજ્યસભામાં હજૂ પસાર નથી થઈ શક્યો, કારણ કે રાજયસભામાં ભાજપની સરકાર પાસે પૂરતી સંખ્યામાં સભ્યો નથી. વિરોધપક્ષોની માગ હતી કે, ઉપરોક્ત વિધેયકમાં અપરાધી વ્યક્તિની જામીન માટેની જોગવાઈ પણ સામેલ કરવામાં આવે. હવે કાનૂની જોગવાઈ અંતર્ગત, મેજિસ્ટ્રેટ જામીન આપી શકશે. પ્રસ્તાવિત કાનૂન માત્ર તલાક- એ- બિદ્ત માટે જ લાગુ કરી શકાશે. આ કાયદાની જોગવાઈઓ અનુસાર, તલાકપીડિત મહિલા પોતાના તેમજ પોતાના 18 વરસથી ઓછી વયના સંતાનોના ગુજારા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકશે. પીડિત મહિલા પોતાના સંતાનોને પોતાની પાસે રાખવા માટેની માગણી પણ કરી શકશે. આ અંગે અંતિમ ચુકાદો આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટનો જ રહેશે.