નવી દિલ્હીઃ અજાણ્યા ગુંડાઓ દ્વારા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર થયેલા હુમલાને વખોડવા માટે દેશભરમાં વિરોધપ્રદર્શન થયાં હતાં. પ્રદર્શનકારીઓએ જેએનયુ વાઇસ-ચાન્સેલરના રાજીનામાની માગ કરી હતી. હિંસા દરમિયાન તેઓ નિષિ્ક્રય રહેતાં ૪૦ લોકો ઘાયલ થયા હતા. જેએનયુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઇશી ઘોષ પર પણ રવિવારે સાંજે હુમલો થયો હતો અને જણાવ્યું હતું કે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હવે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. વિરોધ પક્ષો અને જેએનયુના વિદ્યાર્થીઓએ આ હિંસા માટે ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીને જવાબદાર ગણાવી છે અને દિલ્હી પોલીસ પર નિષિ્ક્રયતાનો આરોપ લગાડ્યો છે.
આરએસએસ સાથે જોડાયેલા કેટલાક પ્રોફેસર્સ છેલ્લા ચાર-પાંચ દિવસથી અમારા આંદોલનને તોડવાની કોશિશ કરી રહ્યા હતા. તો ભાજપે કહ્યું હતું કે યુનિવર્સિટીના કેમ્પસને રાજકીય યુદ્ધનું મેદાન બનાવવું નહિ જોઈએ. એબીવીપીએ આ આક્ષેપને નકારી કાઢીને કહ્યું હતું કે ઘોષના ડાબેરી સમર્થક સંઘે જ હિંસા ફેલાવી હતી અને એમાં એબીવીપીના કાર્યકરો પણ ઘાયલ થયા છે. જોકે તેઓ મીડિયા સમક્ષ હાજર થયા નથી.
સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને એચઆરડી મંત્રાલય સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માનવસંસાધન વિકાસમંત્રાલયે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી, પણ મીટિંગમાં વાઇસ-ચાન્સેલર એમ. જગદીશકુમાર હાજર રહ્યા ન હતા. દિલ્હીમાં કોંગ્રેસની યુવા પાંખે મશાલ રેલી કાઢીને જેએનયુની ઘટનાનો વિરોધ કર્યો હતો.