જહોન અબ્રાહમની કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો હાલ ચાલી રહયો છે. એની તાજેતરમાં રિલિઝ થયેલી બન્ને ફિલ્મો પરમાણુ અને સત્યમેવ જયતે- બન્ને ફિલ્મો હિટ નીવડી છે. આ બન્ને ફિલ્મોએ ટિકિટબારી પર સારી કમાણી કરી હતી. સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1998માં અમેરિકા તેમજ અન્ય દેશોની ના છતાં રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં કરેલા શાંતિપૂર્ણ અણુ વિસ્ફોટની કથા ધરાવતી પરમાણુ જુદો વિષય લઈને આવી હોવા છતાં સારી ચાલી હતી. એ જ રીતે ભ્રષ્ટાચારના મુદા્ને પેશ કરતી સત્યમેવ જયતેને પણ પ્રેક્ષકો તરફથી સારો આવકાર મળ્યો હતો. અભિનેતા જહોન અબ્રાહમે પોતાની ફિલ્મ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, બન્ને ફિલ્મોના વિષયોમાં નવીનતા હતી. સત્યમેવ જયતે ફિલ્મ સમયોચિત હતી. જીવનના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, જેને કારણે સામાન્ય માનવીનું જીવન દુષ્કર બની રહયું છે. એને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકો ભ્રષ્ટાચારના દૂષણથી ત્રાસી ગયા છે. ફિલ્મમાં આ વિષયની યોગ્ય રીતે રજૂઆત થઈ છે, જેથી પ્રેક્ષકોએ ફિલ્મને આવકારી છે.