જમ્મુ- કાશ્મીરમાં થયેલા ડ્રોન દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલા બાદ ભારત હવે સુરક્ષાની દ્રષ્ટિએ દરેક મોરચે સક્રિય બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક બેઠક યોજી હતી, જેમાં ગૃહપ્રધાન અમિત શાહ તેમજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાને દેશની ડ્રોન વિષયક પોલિસી- નીતિની પણ વિગતચવાર ચર્ચા કરી હતી. ઉપરોકત બેઠકમાં ઉપસ્થિત રહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને એરફોર્સના ચીફે પણ અગાઉ કેટલીક જાણકારી આપી હતી. આ બેઠકમાં દેશની સુરક્ષા અંગે ભવિષ્યમાં ઊભા થનારા પડકારો તેમજ આપણા સુરક્ષાદળોને અતિ આધુનિક ઉપકરણોથી સજજ કરવના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગત 26 જૂનથી 19 જૂન સુધીમાં જમ્મુ- કાશ્મીરમાં ત્રણ ડ્રોન એકટિવિટી થઈ ચૂકી છે. જમ્મુમાં સુંજવાન લશ્કરી મથક પાસે સોમવારની મોડી રાતે શંકાસ્પદ રીતે ડ્રોન નજરે પડ્યું હતું. એની અગાઉ ગત શનિવારની રાતે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોને હુમલો કર્યો હતો. બે દિવસ અગાઉ શનિવાર અને રવિવાર દરમિયાનની રાતે જમ્મુ- એરફોર્સ સ્ટેશન પર ડ્રોન દ્વારા બે ધડાકા ( વિસ્ફોટ) કરવામાં આવ્યા હતા.આ હુમલામાં એરફોર્સ સ્ટેશનની છતને નુકસાન થયું હતું. બે જવાનો ઘાયલ થયા હતા. આ જ મુદા્ને કેન્દ્રમાં રાખીને ભારતે યુનોમાં પણ આ ઘટનાને ઉલ્લેખ કરીને ભારતમાં , જમ્મુ- કાશ્મીર સહિત અનેક સરહદી વિસ્તારોમાં કરવામાં આવતા આતંકી હુમલાઓ બાબત રજૂઆત કરી હતી.
-હવે આ હુમલાની સંપૂર્ણ તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા એરફોર્સ સ્ટેશનની અંદર બે વિસ્ફોટક મોકલવામાં આવ્યા હતા. જેના લીધે બે નાના ધડાકા થયા હતા. સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ આતંકી હુમલાના એન્ગલને કેન્દ્રમાં રાખીને પણ કરી રહી છે. આમ થતાં પણ દિવસ વિતી ગયા બાદ પણ ડ્રોન અંગે કશી ભાળ મળી શકી નથી.