કલમ 370 રદ કરવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. મોદી સરકારનો આ ઐતિહાસિક ચુકાદો એનાથી સહન નથી થઈ રહ્યો. એ મૂંઝાયું છે, ધુંધવાયું છે. પાકિસ્તાન વિવિધ સ્તરે ભારત સાથેના સંબંધો સમાપ્ત કરવાની કામગીરી કરી રહ્યું છે. રાજનયિક સંબંધો તોડીને એમણે પોતાના રાજદૂતને પરત બોલાવ્યા, પાકિસ્તાન ખાતેના ભારતીય રાજદૂતનમે ભારત પાછા જવાનું ફરમાન જારી કર્યું. બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો , વિનિમય બંધ કરી દીધો. સમજૌતા એકસપ્રેસ સેવા અટકાવી દીધી, બન્ને દેશો વચ્ચેની બસ સેવા બંધ કરી દીધી. પાકિસ્તાનમાં બોલીવુડની ફિલ્મો રિલિઝ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં બયાન કર્યું કે, પાકિસ્તાન આ મમલે યુનોમાં રજૂઆત કરશે. પાકિસ્તાનના શાસકો વગર વિચાર્યે બયાનો કરતા રહે છે, એમને એટલી સરલ સહજ બાબત સમજાતી નથી કે જમ્મુ – કાશ્મીર એ ભારત દેશને ભાગ છે. ભારતનું રાજ્ય છે. જમ્મુ- કાશ્મીરનો મામલો એ ભારતનો આંતરિક મામલો છે. એમાં હસ્તક્ષેપ કરવાનો દુનિયાના કોઈ પણ રાષ્ટ્રને હક નથી.