છેલ્લા કેટલાક સમયથી બિહાર અને આસામમાં થઈ રહેલી જોરદાર વર્ષા અને પૂરને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે હજારો લોકો બેઘર બની ગયાં છે. પૂરને કારણે બિહાર અને આસામમાં આશરે 49 વ્યક્તિઓના મૃત્યુ થયાં હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આસામમાં ભારે વરસાદને કારણે લાખો લોકો પૂરમાં ફસાયા હોવાના સમાચાર છે. જેમાંથી મોટાભાગના લોકોને રાહત કેમ્પોમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ લોકોને ત્રિપુરામાં આશરો આપવામાં આવ્યો છે. આસામના નેશનલ પાર્કમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે આખો પાર્ક પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે આ પાર્કમાં રહેલા વન્યજીવો માટે સંકટની પરિસ્થિતિ ઊભી થઈ હતી. બિહારના ઉત્તર વિસ્તારમાં લગભગ તમામ જિલ્લાઓમાં શહેર અને ગામડાઓમાં પૂરના પાણી ફરી વળતા અનેક લોકોને પોતાના ઘરબાર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. નેપાળથી આવતી નદીઓના પાણીની સપાટી સતત વધતી હોવાથી આ વિસ્તારમાં રાહત ટીમોને સતત એલર્ટ રાખવામાં આવી છે.