રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી દરમિયાન સુરક્ષાની કામગીરી બજાવનારા સુરક્ષાદળના 200 જવાનોને ડ્યુટી દરમિયાન બે દિવસનો પગાર ના મળતાં તેમને બે દિવસ ભૂખ્યા રહેવું પડયું હતું. કારણ કે આ જવાનોની પાસે મેસમાં પૈસા આપીને ભોજન ખરીદવાના પૈસા જ નહોતા. બે દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હોવાથી આ જવાનો ગુસ્સે ભરાયા હતા તેમણે ભરબપોરના અસહ્ય તાાપમાં બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ જવાનો બોર્ડર હોમગાર્ડના હતા. તેઓ શહેરની બહાર આવેલી એક શાળામાં રહેતા હતા. તેઓ બે દિવસથી ભૂખ્યા હોવા છતાં પ્રશાસન (વહીવટીતંત્ર) દ્વારા તેમને ભરતપુર જવાનો આદેશ કરવામાં આવતાં જવાનો નારાજ થયા હતા. ખેરસિંહ નામના જવાને કહ્યું હતું કે, તે ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરવા માટે તૈયાર છે પણ ભૂખ્યા પેટે એ કરવું શક્ય નથી. જયારે મિડિયા સુધી આ માહિતી પહોંચી ત્યારે પોલીસતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ આવી ને તેમને સમજાવ્યા અને કહ્યું કે, તમારાે પગાર તમને જલ્દીથી ચુકવી દેવામાં આવશે, ત્યારે જવાનો ડ્યુટી પર જવા તૈયાર થયા હતા.