કચ્છ-ભુજઃ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજમાં સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું.
2૦૦ વર્ષ પહેલાં માનવતાની સેવા કાજે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે. લોકોની સેવા જ ઈશ્વરની પૂજા છે, એમ જણાવીને રાજ્યપાલે સંપ્રદાયની કામગીરી બિરદાવી હતી.
રાજ્યપાલે ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રસંશા કરી હતી. તેઓએ ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે આથી ગાય આધારિત ખાતર કે છાણનો ઉપયોગ કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે તે વાતને મિથ્યા ગણાવીને લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે રાજ્યપાલે છણાવટ કરી હતી.
સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આ સુંદર આયોજનમાં અનુશાસન અને સંતોની હાજરીથી પ્રાચીન ભારતનું સ્વરૂપ ઊભું થયું છે. આ પ્રસંગે રાજ્યપાલે ગાય આધારિત ખેતી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂત દિનેશભાઈ વેલાણીનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. પંચગવ્ય નિર્મિત ઔષધિઓની ભેટ ખેડૂતોને આપી હતી. રાજ્યપાલે ગૌ-મહિમા પ્રદર્શનની મુલાકાત લઈને ગાયની વિવિધ જાતો, દ્વિ-શતાબ્દી ગૌ-શાળા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફાર્મ, માંડવા પદ્ધતિ, બાગાયત ખેતી, ટપક પદ્ધતિ વગેરે વિભાગો વિષે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, ગૌ-મહિમા દર્શન અંતર્ગત તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરીને નિહાળી હતી.
આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી, મહંત ધર્મનંદનદાસજી, મહંત જાદવજી ભગતજી, ઉપ મહંત ભગવતજીવનદાસજી, સતગુરુ હરિદાસજી, સ્વામી દેવચરણદાસજી, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કચ્છ કલેકટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, અગ્રણીઓ અને ગૌ-મહિમા પ્રદર્શની તૈયાર કરનાર મેઘજીભાઈ હિરાણી, સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટી મહોદયો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહભાગી થયા હતા.