કોલકાતાઃ ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળ પહોંચતાની સાથે જ તેમણે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આરોપ લગાવ્યો કે મમતાદીદીએ કેન્દ્રની ૮૦થી વધુ યોજનાઓ રોકી રાખી છે.
બાંકુરામાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે આજે બિરસા મુંડાની પ્રતિમાને નમન કરીને બંગાળના પ્રવાસની શરૂઆત થઈ છે. કાલ રાતથી આ પ્રકારનો ઉત્સાહ અને સાહસ જોવા મળી રહ્યા છે. મમતા વિરુદ્ધ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા સુધી કેન્દ્રની મદદ પહોંચતી નથી. ખેડૂતોને મદદ મળતી નથી. આદિવાસીઓને સુવિધાઓ મળતી નથી.
અમિત શાહે કહ્યું કે ભારત સરકારની અનુસૂચિત જાતિના લોકો-પછાતો માટે બનેલી ૮૦થી વધુ યોજનાઓ મમતા દીદી રોકીને બેઠા છે. તેઓ જો વિચારતા હોય કે કેન્દ્રની યોજનાઓ રોકી લેશે તો ખોટું છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં બે તૃતિયાંશ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે પશ્ચિમ બંગાળની જનતાને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં આ જનવિરોધી સરકારને ઉખાડી ફેંકો.
ભાજપના પ્રવક્તા કૃષ્ણ ગોપાલે કહ્યું કે અમિત શાહ ફોકસ એપ્રોસ સાથે કામ કરે છે. જે સમગ્ર દેશમાં એક મિસાલ છે. તેમણે પહેલા યુપી મિશન ચલાવ્યું હતું અને હવે મિશન બંગાળ શરૂ કર્યું છે. ભાજપનું લક્ષ્ય છે કે પશ્ચિમ બંગાળને સાંપ્રદાયિક રાજકારણથી મુક્ત કરાવવામાં આવે. આ માટે અમે ૨૦૨૧-૨૦૨૪ મિશન બંગાળ નક્કી કર્યું
છે.