કોવિડની દવાનો જીએસટી રદ કરવાથી તે મોંઘી બની શકેઃ નાણાં પ્રધાન

 

નવી દિલ્હીઃ કોરોનાની દવા, વેક્સિન, ઑક્સિજન કોન્સન્ટ્રેટરની કમર્શિયલ આયાત અને સ્થાનિક પુરવઠા પરનો જીએસટી રદ કરવાથી ઉત્પાદકો માલ પર ભરેલા કરવેરાનું રિફંડ નહીં મેળવી શકે તેને કારણે આ વસ્તુઓ ગ્રાહકો માટે મોંઘી થઈ શકે છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું હતું.

હાલ, વેક્સિનના સ્થાનિક પુરવઠા અને કોમર્શિયલ આયાત પર પાંચ ટકા તો કોરોનાની દવા અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર પર ૧૨ ટકા જીએસટી ભરવો પડી રહ્યો છે. જો આ વસ્તુઓને જીએસટીમાં સંપૂર્ણ મુક્ત આપવામાં આવશે તો વેક્સિનના ઉત્પાદકો માલ પર ભરેલા કરવેરાનું રિફંડ નહીં મેળવી શકે અને તેને કારણે વસ્તુની વધેલી કિંમતનો બોજો ગ્રાહકો પર આવશે, એમ તેમણે કહ્યું હતું. પાંચ ટકા જીએસટી ઉત્પાદકોને એ બાંયધરી આપે છે કે તેઓ આઈટીસીનો ઉપયોગ કરી શકશે અને જો આઈટીસી વધી જાય તો તેવા સંજોગોમાં તેઓ રિફંડનો દાવો કરી શકશે.

કોવિડની દવાને જીએસટીમાંથી મુક્તિ આપવાથી ગ્રાહકોને નુકસાન થશે, એમ નિર્મલા સીતારમણે ટ્વિટર પરના સંદેશામાં કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કોઈ વસ્તુ પર રૂ. ૧૦૦ (આઈજીએસટી) ઈન્ટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રત્યેકને અનુક્રમે સીજીએસટી (સેન્ટ્રલ જીએસટી) અને એસજીએસટી (સ્ટેટ જીએસટી) પેટે રૂ. ૫૦ મળે છે. વધુમાં સીજીએસટીની આવકના ૪૧ ટકા રાજ્ય સરકારને મળે છે. મતલબ કુલ વસૂલવામાં આવેલા રૂ. ૧૦૦માંથી રાજ્યને રૂ. ૭૦.૫૦ મળે છે. વેક્સિન પર વસૂલવામાં આવેલા જીએસટીમાંથી અડધા કેન્દ્ર સરકારને તો અડધા રાજ્ય સરકારને મળે છે. કેન્દ્ર સરકારને મળેલી જીએસટીની રકમમાંથી પણ ૪૧ ટકા રાજ્ય સરકારને જાય છે. મતલબ વેક્સિન પર વસૂલવામાં આવેલી જીએસટીની રકમમાંથી ૭૦ ટકા કરતા પણ વધુ રકમ રાજ્યના ફાળે જાય છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાની દવા કે વેક્સિન પર નજીવો પાંચ ટકા જીએસટી વસૂલવો એ સ્થાનિક ઉત્પાદકો અને નાગરિકો બંનેના હિતમાં હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની દવા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની રાહત સામગ્રીઓ સરળતાપૂર્વક ઉપલબ્ધ બની શકે તે માટે સરકારે આ વસ્તુઓની કમર્શિયલ આયાતને બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે જેને કારણે આ વસ્તુઓને ઝડપથી કસ્ટમ ક્લિયરન્સ મળી શકે, એમ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here