દેશના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત તમામ સ્મારકોને આગામી 15 મે સુધી બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન વિભાગના મંત્રી પ્રહલાદ પટેલે એક ટવીટ કરીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના વર્તમાન ફેલાવાને ધ્યાનમાં રાખીને તાજમહલ, લાલ કિલ્લા સહિતના અન્ય તમામ જાણીતા સ્મારકોને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને અનુસરીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જાહેર જનતા અને પ્રવાસીઓ હાલના સમયગાળામાં એ સ્થળોની મુલાકાત નહિ લઈ શકે.આગામી 15 મે સુધી સખત નિયમપાલન સાથે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. બુધવારે 15 એપ્રિલના દેશમાં કોરોના સંક્રમણના આશરે બે લાખ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર, એપ્રિલ મહિનામાં આ સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો ભયજનક રીતે વધવાની શક્યતા છે.