કોરોના જેવા અનેક જીવલેણ વાઇરસ માનવજાતને ભરડામાં લેવા તૈયાર બેઠા છે!

 

બેઈજિંગઃ ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં ૫૬ લાખ જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનમાં ચામાચિડિયા પર રિસર્ચ કરવા માટે મશહૂર એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના વાઇરસ તો હજુ માત્ર ઝાંખી છે. અસલી તસવીર હજુ આવવાની બાકી છે. તેનું કહેવું છે કે ચામાચિડિયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાઇરસ રહેલા છે. 

ચીનના ‘બેટવુમન’ નામથી જાણીતા વુહાન ઈનિ્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ કહ્યું કે ચામાચિડિયા જેવા જંગલી જાનવરોમાં કોરોના જેવા અનેક ખતરનાક વાઇરસ રહેલા છે અને જો સમયસર તેની ભાળ ન મેળવી તો આવનારા દિવસોમાં દુનિયાએ આવી અનેક પ્રકારની મહામારીઓનો સામનો કરવો પડી શકે છે. વુહાન ઈનિ્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજી એ જ લેબ છે જ્યાંથી કોરોના વાઇરસ ફેલાયો હોવાનું કહેવાય છે. 

વાઇરસો અંગે થઈ રહેલા રિસર્ચ અંગે સરકારો અને વૈજ્ઞાનિકોએ પારદર્શક વલણ અપનાવવાની જરૂર છે. ચીન પર કોરોના વાઇરસ અંગે સમયસર દુનિયાને યોગ્ય માહિતી ન પહોંચાડવાના આરોપ લાગી રહ્યાં છે. પરંતુ ઝેંગલીએ કહ્યું કે વિજ્ઞાનનું રાજનીતિકરણ દુઃખદ છે. તેમણે ચીનની સરકારી ચેનલ સીસીટીએન સાથે વાતચીતમાં કહ્યું કે આપણે માનવતાને આગામી મહામારીથી બચાવવી હોય તો આપણે જંગલી જાનવરોમાં મળી આવતા અજાણ્યા વાઇરસો પર રિસર્ચ કરવું જોઈએ અને તેમના અંગે આગોતરા ચેતવણી આપવી જોઈએ. જો આપણે તેના વિશે નહિ જાણીએ તો આનાથી પણ વધુ મોટો રોગચાળો ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે સમગ્ર દુનિયાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. કોરોનાને લઈને ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ખટાશ પેદા થઈ છે. અમેરિકાનો આરોપ છે કે કોરોના વુહાન લેબમાંથી ફેલાયો હતો અને ચીને શરૂઆતમાં તેને છૂપાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચીને આ આરોપો ફગાવ્યાં છે. ઝેંગલીએ અમેરિકાના આરોપો ફગાવ્યાં અને કહ્યું કે જે વાઇરસો પર તે કામ કરે છે તેમના જેનેટિક્સ કોરોના વાઇરસ સાથે મેળ ખાતા નથી. ઝેંગલીએ ૨૦૦૪માં વાઇરસો પર રિસર્ચ શરૂ કર્યું હતું અને તે સમયે સાર્સે કેર વર્તાવ્યો હતો. ત્યારથી તેમણે તમામ પ્રકારના ચામાચિડિયા પર રિસર્ચ કર્યું છે. ૨૦૧૩માં તેમને સફળતા મળી અને જાણવા મળ્યું કે ચામાચિડિયાનું મળ ૯૬.૨ ટકા સાર્સ સીઓવી-૨ની જેમ હોય છે. ૨૦૧૫માં તેમણે પોતાના રિસર્ચમાં જાણ્યું હતું કે સાર્સ જેવા વાઇરસ ચામાચિડિયામાંથી માણસોમાં આવી શકે છે. હવે બેટવુમનની આ વાત પર કેટલો વિશ્વાસ કરવો કે વુહાનની લેબમાંથી કોરોના દુનિયામાં ફેલાયો નથી. અમેરિકા તો છાતી ઠોકીને કહે છે કે લેબમાંથી જ નીકળ્યો છે. આ સિવાય અન્ય દેશો પણ આ વાત પર અમેરિકાને સમર્થન આપે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here