અલકેશ વ્યાસ
અમદાવાદઃ કોરોના મહામારીના કપરા કાળ દરમિયાન ગુજરાત-કેનેડાના Socio-Economic Relations વિષે અમદાવાદના ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી NRG સેન્ટર દ્વારા એક ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે કેનેડાના જાણીતા બિઝનેસમેન મુકુંદ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. વેબિનારમાં ભારતના વિવિધ રાજ્યો તથા વિદેશમાં સ્થાયી થયેલા લગભગ ૧૦૦ જેટલા NRGએ ભાગ લીધો હતો.
વેબિનારમાં અમદાવાદના NRG સેન્ટરમાં માનદ સેવા આપતા ફ્ય્ત્ દિગંત સોમપુરાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતુ અને વેબિનારમાં ભાગ લેનારા લોકોનું અભિવાદન કર્યું હતુ. અતિથિ વિશેષ મુકુંદ પુરોહિતે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીના કાળમાં માત્ર ભારત કે, કેનેડાની જ નહીં પરંતુ, વિશ્વના તમામ દેશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલમાં કેનેડામાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. કેનેડાની સરકાર કોરોના સામેનો જંગ જીતવા માટે કટિબદ્ધ છે. પરંતુ, લોકડાઉનના કારણે વેપાર ધંધાને ભારે નુકસાન વેઠવુ પડી રહ્યું છે. જોકે, આવા કપરા કાળમાં ગુજરાતી સમાજના લોકો એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે. કેનેડાની અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ ત્યાં અટવાયેલા ગુજરાતીઓને બનતી મદદ કરી રહી છે.
કોરોનાના કારણે ગુજરાત અને કેનેડા વચ્ચેના વૈપારીક સંબંધો અટક્યાં છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પણ યોજાઈ નથી. આ સમિટમાં દરવર્ષે ૨૦૦થી વધુ ડેલિગેશન કેનેડાથી ગુજરાત આવતા હોય છે. પરંતુ, આ વર્ષે તેઓ આવી શક્યા નથી. લોકડાઉન અને કોરોનાના લીધે કેનેડા અને ગુજરાત વચ્ચેના અનેક બિઝનેસ કરારો પણ પુરા થઈ શક્યા નથી.
અમદાવાદ અને બ્રેમ્પટન જેવા શહેરો વચ્ચે સિસ્ટર સિટીનો કરાર થયો હતો. પરંતુ, આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ હાલમાં અભરાઈ ઉપર છે. તદ્ઉપરાંત, કેનેડાની એક જાણીતી હોસ્પિટલ અને ગુજરાતની કેન્સર હોસ્પિટલ વચ્ચે કેન્સરની ગંભીર બિમારીના ઈલાજ માટેના રિસર્ચનો કરાર થયો હતો પરંતુ, તે પણ હજી પૂરો થઈ શક્યો નથી.