કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તોળાઈ રહી છે તલવાર

કેનેડાઃ કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સીએ કેનેડામાં રહીને અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે. 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા બોર્ડર સિક્યોરિટી દ્વારા ડિપોટેશનની નોટિસ ફટકારીને તેમને થોડા જ દિવસમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો છે. આ બાબતે એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓએ જલંધરની એક એજન્સી એજ્યુકેશન માઈગ્રેશન દ્વારા કેનેડાના સ્ટડી વિઝા લીધા હતા, કેનેડામાં આ પ્રકારના એજ્યુકેશન ફ્રોડનો આ પહેલો મામલો છે. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, પરંતુ જ્યારે તેઓએ પીઆર માટે અરજી કરી હતી ત્યારે તપાસમાં તેમના દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ જ દસ્તાવેજોના આધારે આ વિદ્યાર્થીઓને માત્ર કેનેડાના વિઝા જ નહીં પણ કેનેડાની કોલેજમાં એડમિશન પણ આપવામાં આવ્યું હતું. એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ એજન્સી ચલાવતા બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિએ આ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી હતી. આ બધા વિદ્યાર્થીઓએ બ્રિજેશ મિશ્રા દ્વારા જ સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. એટલું જ નહીં પણ મિશ્રાએ આ તમામ 700 વિદ્યાર્થીઓ પાસેથી આ માટે 16-16 લાખ રૂપિયા લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું. બ્રિજેશ મિશ્રાએ ચાલાકીથી આ તમામ વિદ્યાર્થીઓના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી, પરંતુ પોતે સહી કરી નહોતી. એટલા માટે કેનેડિયન એજન્સીઓ આ વાત સ્વીકારતી નથી, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ આ વિશે કંઈ જ જાણતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here