ભુજઃ કચ્છના લોકોમાં કુદરતી આપત્તિઓ સામે અડીખમ રહેવાની તાકાત જન્મજાત રહેલી છે તેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિચોડે અનુભવાયું છે, કારણ કે દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આપત્તિ તથા કોવિડ-૧૯ જેવી વૈશ્વિક મહામારીના સમયગાળામાં પણ કચ્છીઓ પોતાનું ખમીર બતાવી, હસતા મોઢે સામનો કરી રહ્યા છે એવું અહીં રોટરી પ્રાયોજિત પરિસંવાદમાં ડિઝાસ્ટર મામલતદાર સી. આર. પ્રજાપતિએ કહ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની સફળતાનું રહસ્ય સમજાવતા તેમણે આ કામગીરીને મહત્ત્વના ચાર તબક્કામાં વહેંચવાની વાત કરતા જણાવ્યું હતું કે, મીટીગેશન, પ્રીપેરેશન, રિસ્પોન્સ અને રિકવરી જેવા મહત્ત્વના ચાર વિભાગમાં કામગીરી વહેંચણી કરતા ડિઝાસ્ટરનું કામ અતિ સરળ બને છે. હાલની કોવિડ-૧૯ના મેનેજમેન્ટ બાબતે આ વ્યવસ્થાથી થયેલા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. રોટરી કલબના પ્રમુખ ડો. ઊર્મિલ હાથીએ મુખ્ય વકતાને આવકાર્યા હતા. જ્યારે તેમનો પરિચય ડો. કશ્યપ બૂચે આપ્યો હતો. જ્યારે પી.ડી.જી. મોહન શાહ તથા કલબ ટ્રેનર પ્રફુલ્લ ઠક્કરે મહેમાનોને મોમેન્ટોથી સન્માન્યા હતા. ડિઝાસ્ટર પ્રોજેકટ ઓફિસર માધવ હાથીએ પણ પોતાના વિભાગ દ્વારા થતી પ્રવૃત્તિઓથી અવગત કર્યા હતા. જ્યારે પી.ડી.જી. ભરત ધોળકિયાએ વિવિધ આપત્તિઓ સમયે રોટરી કલબની ભૂમિકાની જાણકારી આપી હતી. તિલક કેશવાણી, નિલેશ મહેતા, શ્વેતા ધોળકિયા, ડો. જયંત વસા, અશરફ મેમણ, દિલીપ ઠક્કર સહિતનાઓ ચર્ચામાં જોડાયા હતા.આભારવિધિ અભિજિત ધોળકિયાએ કરી હતી. સંચાલન મંત્રી પરાગ ઠક્કરે કર્યું હતું.