ભાવનગરઃ ગુજરાતી કાવ્ય સાહિત્યનો સૌથી મોટો આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ વર્ષ 2018 માટે ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીને અર્પણ કરવાની ઘોષણા થઈ છે. આગામી 24મી આક્ટોબરના રોજ જૂનાગઢમાં મોરારિ-બાપુના હસ્તે રૂપિયા એક લાખ એકાવન હજારની રાશિ અને નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા તેમ જ શાલ અને સન્માનપત્રથી તેમનું અભિવાદન કરવામાં આવશે. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત રઘુવીર ચૌધરી તેમ જ અન્ય સાહિત્યકારો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલી રૂપાયતન સંસ્થામાં યોજાશે. અગાઉ રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, અમૃત ઘાયલ, સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, રમેશ પારેખ વગેરે આ એવોર્ડથી સન્માનિત થયા છે.