ન્યુ યોર્કઃ એકલ વિદ્યાલય યુએસએના નવા પ્રેસિડન્ટ તરીકે સુરેશ ઐયરની નિમણૂક કરાઈ છે. 2002માં ઐયરને તેમના મિત્ર દ્વારા ઓર્ગેનાઇઝરના સ્થાપક શ્યામ ગુપ્તા દ્વારા છેલ્લી મિનિટે યોજનાના બદલાવ થતાં યજમાન બનવાનું કહેવામાં આવ્યું હતું અને કલાકોમાં તેઓ દાતા બન્યા હતા.
દાતા થયા પછી તેઓ ક્રમશઃ વધુ ને વધુ સંકળાતા ગયા અને સ્વયંસેવક, ચેપ્ટર પ્રેસિડન્ટ, ચેરમેન ઓફ ધ બોર્ડ અને હવે પ્રેસિડન્ટ બન્યા છે.
સુરેશ ઐયરે શિક્ષણનું મહત્ત્વ અને સેવાનો જુસ્સો પોતાના જીવનની શરૂઆતથી જ સમજયાં છે. સ્નાતક થયા પછી તેમણે ઇસરોમાં વિજ્ઞાની તરીકે પોતાની પ્રથમ નોકરી શરૂ કરી હતી. નોકરી શરૂ કર્યા પછી તેમણે પ્રથમ બેંગલોરમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી, જેઓ ફી ભરી શકતાં નહોતાં. એકલ મુવમેન્ટની શરૂઆત 1989માં એક ગામ અને એક સ્કૂલથી થઈ હતી અને આજે એકલ સ્કૂલ ભારતમાં 70 હજાર ગામડાંમાં ચાલે છે. એકલે ગયા વર્ષે આઠ મિલિયન ડોલર ફંડ ભેગું કર્યું હતું અને આ વર્ષે દસ મિલિયન ડોલરથી વધુ ફંડ એકઠું કરવાનો હેતુ છે.