આશુતોષ ગોવારી કરનું નામ બોલીવુડમાં અતિ માનથી લેવામાં આવે છે. હિન્દી ફિલ્મના ચાહકો પણ આશુતોષના નામ અને કામ- બન્નેથી સારી રીતે પરિચિત છે. જગતભરમાં પ્રશંસા પામેલી અને આોસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવેલી સુપર- ડુપર હિટ ફિલ્મ લગાન, શાહરુખ ખાન અભિનિત સ્વદેશ તેમજ સોહામણા અને બહુમુખી પ્રતિભાસંપન્ન કલાકાર હૃતિક રોશનની ફિલ્મ જોધ્ધા અકબર આશુતોષ ગોવારીકરના ઉત્તમ દિગ્દર્શનનું ઉદાહરણ છે. જો કે આશુતોષ ગોવારીકરનું મોહેં જો દરો ફિલ્મ સદંતર નિષ્ફળ નીવડી હતી. આશુતોષ પાણીપતની લડાઈના વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છે. પાણીપતની લડાઈની કથા અનોખી છે. મરાઠા સામ્રાજ્યના યોધ્ધાઓની વીરતા અને રાજ- ખટપટ પર આધારિત આ ફિલ્મમાં અર્જુન કપુર મરાઠા યોધ્ધા સદાશિવરાવ ભાઉની ભૂમિકા ભજવી રહ્યો છે. અર્જુને આ ભૂમિકાને યોગ્ય ન્યાય આપવા માટે ખૂબ મહેનત કરી છે. રાત-દિવસ કલોકોના કલાકો કસરત કરી શરીર કસ્યું છે. રજવાડી યુધ્ધ માટે તલવારબાજી, ઘોડેસ્વારીની તાલીમ લીધી છે. અર્જુન કપુર પોતાને આફિલ્મમાં એક મહાન યોધ્ધાની ભૂમિકા ભજવવા મળી તે માટે ગૌરવની લાગણી અનુભવે છે તેમજ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરની મુક્તકંઠે પ્રશંસા પણ કરે છે.