પોતે આપેલા આદેશોનું પાલન નહિ કરનારા આમ્રપાલી ગ્રુપને સુપ્રીમ કોર્ટે રોકડું પરખાવ્યુંઃ તમે એક નંબરના જુઠ્ઠા છો..સુપ્રીમ કોર્ટે દિલ્હીના દેવું વસૂલ કરનારી ન્યાયાધીકરણ સંસ્થા(ડીઆરટી) ને નિર્દેશ આપ્યો કે, દેશભરમાં રહેલી આમ્રપાલી ગ્રુપની ફાઈવ સ્ટાર હોટેલો, સિનેમા હોલ, ફેકટરીઓ અને ઓફિસો ને જપ્ત કરીને તેનું લિલામ કરવામાં આવે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ યુયુ લલિતની ખંડપીઠે આમ્રપાલી ગ્રુપના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, તમે સાવ જૂઠ્ઠા છો. તમે આખી દુનિયામાં સૌથી ખરાબ વ્યકિત છો.
42 હજાર ખરીદારો પાસેથી નાણાં લઈને તેમને ફલેટ ન આપનારી કંપની આમ્રપાલી ગ્રુપ પર લોકો સાથે છેતરપિંડી કરવાનો અને તેમના નાણાં હડપ કરી જવાનો આરોપ છે. લાંબો સમય રાહ જોયાપછી પણ પોતાને ઘર ન મળ્યાં એટલે ખરીદારોએ આમ્રપાલી ગ્રુપ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના સંચાલકોને એક છેલ્લી તક આપતાં કહ્યું હતું કે, જો તમારી પાસે ખરીદારોના નાણાં હોય તો 10મી ડિસેમ્બર સુધીમાં એમને સત્વરે પાછા આપી દો. અદાલતને એપણ જણાવો કે, ખરીદારો પાસેથી ઘર માટે લેવાયેલા નાણાં – કુલ 3 હજાર કરોડ રૂપિયા તમે બીજા કોઈ ધંધામાં કે આયોજનમાં કેમ રોક્યા ? અદાલતની ખંડપીઠે ગ્રુપના સીએમડી અનિલ શર્મા તેમજ નિર્દેશક, મુખ્ય નાણાં અધિકારી તેમજ ઓડિટ અનિલ મિત્તલ ને નોટિસ જારી કરીને પૂછ્યું : તમે જ જણાવો, લોકોનો વિશ્વાસ તોડવા માટે તમારી વિરુધ્ધ ક્રિમિનલ કાનૂન અંતર્ગત, કાર્યવાહી કેમ ન થઈ શકે?