કર્ણાટક રાજ્ય હાલમાં રાજકીય કટોકટીથી ઘેરાયેલું છે. દરેક પળે જુદી જુદી પરિસ્થિતિ આકાર લઈ રહી છે… કોંગ્રેસના 15 બળવાખોર વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા બાદ રાજકીય વાતાવરણ તંગ છે. રાજીનામા આપી દેનારા 15 વિધાન સભ્યો બાબત ગૃહના સ્પીકર નિર્ણય લેશે. રાજ્યમાં કુમારસ્વામીના વડપણ હેઠળની સરકારના તમામ પ્રધાનોએ રાજીનામા આપી દીધા બાદ એવું માનવવામાં આવતું હતું કે કોંગ્રેસ- જેડીએસના સભ્યોને મનાવી લેશે અને પરિસ્થિતિ થાળે પડી જશે. કહેવામાં આવી રહ્યું છેકે, બાગી વિધાનસભ્યોને પહેલા ગોવા લઈ જવાના હતા, પણ હવે યોજના બદલીને તેમને મુંબઈમાં કોઈ અજ્ઞાત સ્થાને લઈ જવામાં આવ્યા છે. બળવાખોર વિધાનસભ્યોએ કહ્યું હતું કે, કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારમાં પ્રધાન બનવાનો કોઈ જ લાભ નથી. કારણ કે આસરકાર અસ્થિર સરકાર છે. બળવાખોર વિધાનસભ્યોના રાજીનામા બાબત સ્પીકર કે. આર. રાકેશકુમાર આજે નિર્ણય લે એવી સંભાવના છે. જો બળવાખોર સભ્યોના રાજીનામા સે્વીકારી લેવામાં આવે તો ગઠબંધન સરકાર પાસે માત્ર 103 વિધાનસભ્યો જ બાકી રહે, જેને કારણે સરકાર લધુમતીમાં આવી જાય બહુમતીનો આંકડો 113 છે. કર્ણાટકમાં હવે ગમે તે ક્ષણે સરકાર બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.