ન્યુ યોર્કઃ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ-આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિશે સૌપ્રથમ વાર યોજાયેલા પરિસંવાદમાં સાધ્વી ભગવતી સરસ્વતીએ પ્રવચન આપ્યું હતું. ગ્લોબલ ઇન્ટરફેઇથ ડબ્લ્યુએએસએચ એલાયન્સના સેક્રેટરી જનરલ અને હૃષીકેશના પરમાર્થ નિકેતનમાં ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ સાધ્વી ભગવતી સરસ્વતીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય વિશે યોજાયેલા પરિસંવાદમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. સેક્રેટરી માઇક પોમ્પિયો અને એમ્બેસેડર સામ બ્રાઉબેક દ્વારા આયોજિત આ પરિસંવાદ ત્રણ દિવસની ઉચ્ચ કક્ષાની સમિટ હતી, જેમાં સરકારી અગ્રણીઓ અને દુનિયાભરના સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ, 80થી વધુ દેશોના વિદેશી બાબતોના મંત્રીઓ, 200 સામાજિક સંસ્થાઓ, 100 આંતરરાષ્ટ્રીય ધાર્મિક વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સત્ર દરમિયાન સાધ્વી ભગવતી સરસ્વતીએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઇન્ટરનેશનલ પોલિસી માટે પોતાનાં મજબૂત સૂચનો જણાવ્યાં હતાં. તેમણે ભાર મૂક્યો હતો કે જ્યારે માતાએ પોતાના ધર્મ અથવા પોતાના બાળક માટે મેડિકલ કેર વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે માતા પાસે ધર્મની સ્વતંત્રતા હોતી નથી. જોકે અમેરિકામાં આપણે વાણીની સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.
મુખ્ય સત્રો ઉપરાંત બ્રેકઆઉટ સત્રોમાં પણ સાધ્વીજીએ વિવિધ વિષયો ઉપર પ્રવચનો આપ્યા હતા. સાધ્વજીએ પેનલ ડિસ્કશનમાં પણ ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ, ઇન્ટરનેશનલ રિપબ્લિકન, સર્ચ ફોર કોમન ગ્રાઉન્ડ દ્વારા કરાયું હતું. તેમણે કહ્યું કે હિન્દુઓ-મુસ્લિમો-ખ્રિસ્તીઓ-બૌદ્ધ, યહૂદીઓ કરતાં પહેલાં આપણે બધા માનવીઓ છે એ વાત યાદ રાખવી જોઈએ.
આ પરિસંવાદમાં ફોરમ ફોર પ્રમોટિંગ પીસ ઇન મુસ્લિમ સોસાયટીઝના પ્રેસિડન્ટ શેખ અબ્દુલ્લાહ બિન બયાહ, 17મા ગ્યાલવાન્ગ કર્માપા ઓજિયેન ત્રિનલે દોરજે, નાઇજીરિયાના આબુજાના કેથોલિક આર્કબિશપ કાર્ડિનલ જોહન ઓલોરુનફેમી ઓનાઇયેકાન, વર્જિનિયાના પૂર્વ યુએસ પ્રતિનિધિ ફ્રેન્ક વોલ્ફ, યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસનાં પ્રેસિડન્ટ નેન્સી લિન્ડબોર્ગ, સેન્ટર ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ, ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ડિરક્ટર ટોની ગારાટાઝુ, મુશપેહનના પ્રેસિડન્ટ હુમેરા ખાન વગેરેનાં પ્રવચનોનો સમાવેશ થતો હતો.