સુ્પ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશોની રચવામાં આવેલી ખંડપીઠ સમક્ષ 10 જાન્યુઆરીના અયોધ્યા રામ- મંદિર વિવાદના કેસની સુનાવણી શરૂ કરવામાં આવી રહી હતી ત્યારે ખંડપીઠમાં નિમાયેલા એક જસ્ટિસ યુ યુ લલિત પર મુસ્લિમ પક્ષકાર વકીલ રાજીવ ધવને કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા. તમણે રજૂઆત કરી હતી કે, 1994માં આ કેસની સુનાવણી દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન કલ્યાણસિંહ માટે રજૂઆત કરી ચૂક્યા છે. આથી જસ્ટિસ યુ યુ લલિતે પોતે ખંડપીઠમાંથી પોતાની જાતને અલગ કરી દીધી હતી. હવે ચીફ જસ્ટિસ દ્વારા તેમની જગ્યાએ અન્ય જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ નવી બેન્ચની જાહેરાત કરવામાં આવશે.
રામમંદિર કેસની સુનાવણીને પગલે અદાલતનો ખંડ સવારથી જ ખીચોખીચ ભરેલો હતો. મીડિયાકર્મીઓ તેમજ પક્ષકારો અને અન્ય મહત્વના લોકો પણ આ કેસની સુનાવણી સમયે અદાલતમાં હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રજન ગોગોઈ સહિત 5 જસ્ટિસે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ત્યારપછી કેસની સુનાવણી કરવાનું કામ શરૂ થયું હતું. મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવને પ્રશ્ન કર્યો હતો કે, પહેલા આ કેસની સુનાવણી 3 જજની ખંડપીઠ કરતી હતી, તો પછી અત્યારે 5 જસ્ટિસની બેન્ચ કેમ રચવામાં આવી હતી.
જસ્ટિસ યુ યુ લલિત આ કેસની બેન્ચમાંથી ખસી ગયા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આથી હવે નવી બેન્ચની રચના કરવામાં આવશે . કેસની સુનાવણી માટે 29 જાન્યુઆરીનો દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર માહિતી સૂત્રોએ જણાવ્યું હતું.