સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના આત્મહત્યા કરી તે દુખદ ઘટનાએ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેરજીવનમાં અનેક લોકોને વિચારતા કરી દીધા છે. અનેક ફિલ્મી કલાકારો બોલીવુડમાં એકહથ્થુ શાસન ચલાવનારા મોટા ગજાના ફિલ્મ- નિર્માતાઓ અને નેપોટિઝમ પ્રત્યે ઉગ્ર વિરોધ અને અણગમો પ્રદર્શિત કરી રહ્યા છે. નેપોટિઝમ ફેલાવનારા લોકોનો બહિષ્કાર કરવા માટે સુશાંત સિંહના એક ચાહકે ઓનલાઈન પિટિશનની શરૂઆત કરીહતી, તેને 24 કલાકમાં 16 લાખથી વધુ લોકોએ સહી કરીને પોતાનું સમર્થન આપ્યું હતું. હવે આ મામલામાં સીબીઆઈતપાસની માગણી ગતિ પકડી રહી છે. અભિનેત્રી રૂપા ગાંગુલી પછી હવે અભિનેતા શેખર સુમને પણ સીબીઆઈ તપાસ કરવામાં આવે એવી માગણી કરી છે. શેખર સુમને એ માટે એક મંચની રચના પણ કરી છે. તેો એમના ટવીટર પર વારંવાર સુશાંત સિંહના આત્મહત્યાના મામલે પ્રશ્નો કરી રહ્યા છે. 22મી જૂનના શેખર સુમને પોતાના ટવીટર પર લખ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંહ બનીને ફરનારા લોકો સુશાંત સિંહના ચાહકોના વિરોધથી ગભરાઈ જઈને, ડરીને ઉંદરની જેમ દરમાં ભરાઈ ગયા છે. તેમના મહોરા ઉખડી ગયાં છે, અસલી ચહેરો સામે આવી રહ્યો છે. પાખંડ પ્રગટ થઈ રહ્યું છે. જયાં સુધી દોષીઓને સજા નહિ મળે ત્યાં સુધી બિહાર અને ભારત ચૂપ નહિ બેસે. બિહાર જિંદાબાદ.