અબુ ધાબીમાં બીએપીએસ દ્વારા સૌપ્રથમ હિન્દુ મંદિરની શિલાપૂજન વિધિ

દસમી ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને ઈશ્વરચરણ સ્વામી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત્ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા

 

અબુ ધાબીઃ યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુ ધાબીમાં 11મી ફેબ્રુઆરી, વિજયા એકાદશીના પવિત્ર દિવસે અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત્ યોજાયો હતો. આ મંદિરનું નિર્માણકાર્ય સંભાળી રહેલા બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા) સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં દુબઈ-અબુ ધાબી રાજમાર્ગ પર અબુ મુરૈકામાં ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત્ યોજાયો હતો.

બીએપીએસ હિન્દુ ટેમ્પલનું મોડેલ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈના વિખ્યાત ઓપેરા હાઉસમાં 1800થી વધુ મહાનુભાવોની મેદની વચ્ચે આ શિલાપૂજનમાં ભાગ લેતાં મંદિરની પ્રતિકૃતિનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું હતું. આરબ દેશોના પ્રતીકરૂપ ખજૂરીનાં વૃક્ષપર્ણો વચ્ચે મુકાયેલા આ શિખરબદ્ધ મંદિરનું આ મોડેલ બે સંસ્કૃતિઓ વચ્ચેની સદ્ભાવનાનું એક અનોખું દર્શન બની રહ્યું હતું.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, ‘કદાચ કેટલાય દશકો પછી ભારત અને અખાતી દેશો વચ્ચે આવો ઊંડો અને વાઇબ્રન્ટ સંબંધ બંધાયો છે. અખાતી દેશોના 30 લાખથી વધુ ભારતીયો અહીંની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. અખાતી દેશોના શાસકોએ અહીં ભારતીયોને પોતાના બીજા ઘર જેવું ઉત્તમ વાતાવરણ પૂરું પાડ્યું છે, તે બદલ હું તેમનો આભારી છું. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને મળવાનું થયું ત્યારે તેમણે આ મંદિરની વાતને આગળ ધપાવી હતી. હું સવા સો કરોડ ભારતીયો વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. અહીંના શાસકોએ ભારત પ્રત્યે સન્માન દર્શાવ્યું છે અને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું ગૌરવ કર્યું છે ત્યારે આપણાથી કોઈ ચૂક રહી ન જાય તે જોવાની આપણી જવાબદારી છે.’
અબુ મુરૈકામાં વિશાળ સુશોભિત પંડાળમાં આ ભૂમિપૂજન વિધિ આરંભાયો હતો. આરબભૂમિ પર વૈદિક મંત્રોના ગાન વચ્ચે વાતાવરણ અત્યંત પવિત્ર બન્યું હતું. શિલાપૂજન અને ભૂમિપૂજન વિધિ પૂર્ણ કરીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું હતું, ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અનુસાર આ મંદિર મહંત સ્વામી મહારાજની નિશ્રામાં રચાઈ રહ્યું છે, જે આરબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા, મૈત્રી અને ઉદાર સેવાભાવનાઓનું એક ધબકતું કેન્દ્ર બનશે. આ મંદિર કોઈ પણ પ્રકારના નાત-જાત કે ધર્મ વગેરેના ભેદભાવ સિવાય સૌ કોઈને આવકારશે. આ મંદિર અહીં વસતા ભારતીયોની આવનારી અનેક પેઢીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખશે અને તેમનામાં વૈશ્વિક સંસ્કારોનું સિંચન કરશે.’ 2020 સુધીમાં આ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. અખાતી દેશોમાં પથ્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ હિન્દુ મંદિર ભારતમાં ઘડતર પામશે અને અબુ ધાબીમાં તે પથ્થરો દ્વારા જીગ્સો પઝલની જેમ મંદિરની રચના થશે.

અબુ ધાબીમાં 11મી ફેબ્રુઆરીએ અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરનું નિર્માણકાર્ય સંભાળી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે ભૂમિપૂજન થયું હતું. (તમામ ફોટોસૌજન્યઃ બીએપીએસ)

પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરધામ જેવાં મહામંદિરોની રચના કરનાર બીએપીએસ દ્વારા રચાઈ રહેલા આ મંદિરના આ વિધિવત્ પ્રારંભથી ભારતીયોમાં ખુશાલી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે 10મી ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અને ઈશ્વરચરણ સ્વામી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિધિવત્ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરની યોજના સમજાવતાં વિશિષ્ટ પ્રકલ્પને માણીને તેઓ પ્રભાવિત થયા હતા. સંતોએ ભારતીય પરંપરા મુજબ અમૃતકળશ અર્પીને તેમનું અભિવાદન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here