

દેશના રાજકારણના તખ્તા પર કઈ ક્ષણે કયું નાટક ભજવાય એ કોઈ જ ના કહી શકે.. દાયકાઓથી વિખરોયેલા બે પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર – ગાંધી કુટુંબ એક થઈ રહયાના ચિહનો દેખાઈ રહયા છે..સોનિયા ગાંધી અને મેનકા ગાંધી બન્ને સામસામા રાજકીય પક્ષોમાં છે. સોનિયા ગાંધીએ કોંગ્રસમાં રહીને પોતાનો રાજકીય પ્રવાસ આગળ વધાર્યો અને કોંગ્રેસના સત્તાધીશ મહિલાનો દરજ્જો હંસલ કર્યો, જયારે મેનકા ગાંધી ઈન્દિરા ગાંધીનું ભર્યુંભાદર્યું ઘર અને નામ મૂકીને પોતાના નાનકડા બાળવયના પુત્ર વરુણને લઈને નવી મંજિલની તલાશમાં અજાણ્યા રસ્તે પગ મૂક્યો, એ અજાણ્યા રસ્તા પર ચાલવાનો સતત સંઘર્ષ કર્યો અને આજે કેન્દ્ર સરકારમાં બાળ વિકાસ અને મહિલાપ્રધાન છે. તેમના પુત્ર વરુણ ગાંધી પણ ઉત્તરપ્રદેશના સાંસદ છે. હમણા જ મહારાષ્ટ્રમાં એક માનવભક્ષી વાઘણ( અવનિ) ને મારી નાખવાની દુખદ ઘટના બની ગઈ. એ સમયે મેનકા ગાંધીએ મહારાષ્ટ્રના વનમંત્રી સુધીર મુંગતીવાર પર ટિવીટ કરીને આ મામલામાં રસ લઈને ગુનેગારોને કડક સજા કરવાની માગણી કરી હતી.
પોતાની જ રાજકીય પાર્ટી ભાજપમાં ખટરાગને કારણે હાલમાં મેનકા ગાંધી ચર્ચાનો વિષય બન્યા છે , જયારે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં મહત્વનું ખાતું સંભાળતા સુધીર મુંગતીવાર મહારાષ્ટ્રના વગદાર નેતા છે. ઉપરાંત તેઓ આરએસએસના જૂના સાથીદાર અને અનુયાયી છે. તેમની સામે ઉપરોક્ત મામલાની તલસ્પર્શી તપાસ કરીને કામ ચલાવવાની માગણી પણ મેનકા ગાંધીએ કરી હતી. એ જ રીતે ભાજપના સાંસદ વરુણ ગાંધીની શરૂઆતથી જ ભાજપના અગ્રણીઓ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ગત વરસે ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારમાં પણ વરુણને શામેલ કરવામાં આવ્યા નહોતા. હાલમાં મેનકા ગાંધીના મહિલા- વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ વિશેષ હાજરી આપી હતી. સોનિયા ગાંધીનું મેનકા ગાંધીના કાર્યક્રમમાં હાજર રહેવું સર્વત્ર ચર્ચાનો વિષય બન્યું હતું . ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાઘણ અવનીના મોત અંગે વિરોધનો રણકો પ્રગટ કર્યો હતો. આ બધી ઘટનાઓ એક પછી એકના ક્રમમાં બનતી હોવાથી મેનકા અનેૈ સોનિયા એક બની રહયાની સંભાવના રાજકીય પંડિતોને લાગી રહી છે.