
નિર્માતા વિનય તિવારી અને દિગ્દર્શક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મ મહોલ્લા અસ્સીનું કથાનક અલગ અને રસપ્રદ છે. આ ફિલ્મને રજૂઆત માટે અનેકાનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મમાં સની દેઓલ, સાક્ષી તન્વર, રવિકિશન, સૌરભ શુકલા , મુકેશ તિવારી . રાજેન્દ્ર ગુપ્તા અને મિથિલેશ ચતુર્વેદી મહત્વની ભૂમિકાઓ ભજવી રહયા છે.
મહોલ્લા અસ્સીની કથા આ પ્રમાણે છેઃ મહોલ્લા અસ્સી બનારસ ( કાશી, વારાણસી) ના એક મહોલ્લાની કહાની છે. ધર્મનાથ પાંડે આ મહોલ્લામાં રહે છે. તેઓ સંસ્કૃતના અધ્યાપક છે. સવારે ગંગાઘાટ પર બેસીને તીર્થયાત્રીઓ માટે પૂજા- કર્મકાંડ વગેરે કરે છે અને બપોરના સમયે સંસ્કૃત ભણાવે છે. બનારસની મુલાકાતે આવનારા વિદેશી સહેલાણીને મહોલ્લા અસ્સીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવે તેની સામે તેમને સૈધ્ધાંતિક વાંધો છે. તેઓ દ્રઢપણે એવું માને છે કે બ્રાહ્મણોના નિવાસમાં વિદેશીનું હોવું ધર્મની દ્રષ્ટિએ વજર્ય છે… આ ફિલ્મની આખી વાર્તા રજૂ કરીને રસક્ષતિ નથી કરવી .થોડા નોખા- અનોખા વિષયને પેશ કરતી આવી ફિલ્મો ચીલાચાલુ ફિલ્મો કરતાં વધુ મનોરંજક અને વિચારપ્રેરક હોય છે..