

ભારતના ઈતિહાસમાં જેમનું નામ એક કાર્યક્ષમ, નિષ્ઠાવાન અને કુશળ વહીવટકર્તા રાજપુરુષ તરીકે હંમેશા અમર રહેશે તે સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પુનિત સ્મૃતિને અંજલિ આપવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલજીના જન્મદિનના એક દિવસ અગાઉ સંસદના એનેકસી બિલ્ડિંગમાં આયોજિત સમારંભમાં કેન્દ્રીયપ્રધાન મહેશ શર્માની ઉપસ્થિતિમાં 100 રૂપિયાનો ધાતુનો સ્મારક સિક્કો પ્રકાશિત કર્યો હતો. આ સિક્કાના આગળના ભાગમાં અશોકસ્તંભનું ચિત્ર છે. સિક્કાની પાછલની બાજુમાં અટલજીનું ચિત્ર છે. તેમજ તેમનું નામ હિન્દી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરનો દિવસ દર વરસે સુશાસન દિવસ તરીકે દેશમાં મનાવવામાં આવે છે. વાજપેયીજીને 2014માં ભારતરત્ન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ગત 16 ઓગસ્ટ . 2018ના અટલજીનું 93 વરસની વયે નિધન થયું હતું.