શિયાળામાં કોરોના વધુ ખતરનાક બને તેવી શક્યતા, વિદેશથી ઓક્સિજન મગાવવાની તૈયારી

 

નવી દિલ્હીઃ કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારને લાગે છે કે, શિયાળામાં આ વાઇરસ વધારે કહેર મચાવશે. જેને લઈને કેન્દ્ર સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોરોનાની મહામારીને કારણે ઘણા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે વિદેશથી એક લાખ મેટ્રિક ટન ઓક્સિજન ખરીદવાની યોજના બનાવી છે. બુધવારે આ માટે એક ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ છે. ૧૦ ઓક્ટોબરે કેબિનેટ સચિવ સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. ત્યાર પછી નક્કી કરાયું હતું કે, વિદેશમાંથી પણ ઓક્સિજન ખરીદવામાં આવશે.

ખરીદીની કાર્યવાહી પૂરી થવામાં દોઢેક મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં આપણા દેશમાં રોજ સાત હજાર મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા છે. જેમાંથી ૩૦૯૪ મેટ્રિક ટન ઓક્સિજન કોરોના અને બીજા રોગના દર્દીઓ માટે વપરાય છે. 

દેશમાં લોકડાઉન બાદ દેશની ઓક્સિજન પ્રોડક્શન ક્ષમતા ૬૦૦૦ ટન હતી. જેમાંથી ૧૦૦૦ ટન જ મેડિકલ યુઝ માટે વપરાતો હતો. જોકે કોરોનાની મહામારીને કારણે મેડિકલ યુઝ માટે ઓક્સિજનની માગ સતત વધી ગઈ છે. બીજી તરફ અનલોક ગાઈડલાઈનના કારણે ઉદ્યોગોમાં પણ ઓક્સિજનનો ઉપયોગ વધ્યો છે. આ સંજોગોમાં દર્દીઓ માટે ઓક્સિજનની તંગી ના પડે તે માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી ૩.૯૭ ટકા ઓક્સિજન સપોર્ટ પર છે અને ૨.૪૬ ટકા દર્દીઓ આઈસીયુમાં દાખલ છે.