

ભારતના લોકપ્રિય અને સંનિષ્ઠ, કાર્યકુશળ વિદેશપ્રધાન સુષમા સ્વરાજે આજે ઈન્દોરમાં સભામાં એવી ઘોષણા કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી લડવી કે નહિ, તે અંગેનો ફેંસલો પક્ષ દ્વારા કરવામાં આવતો હોય છે, પણ મેં મનથી નિર્ણય કરી લીધો છે કે, હવે મારે ચૂંટણી નથી લડવી. સપષમાજી મધ્યપ્રદેશના વિદિશા લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ દેશના સૌથી યુવાન વિધાયક અને સૌથી યુવા કેબિનેટ પ્રધાન બનવાનું માન પ્રાપ્ત કરી ચુક્યા છે. 2009 અને 2014માં તેઓ વિદિશા મત- વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2014માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણસિંહને 4 લાખથી વધુ મતોએ પરાજિત કર્યા હતા. સુષમાજી 1977માં હરિયાણાના અંબાલા વિસ્તારમાંથી ચૂંટણી જીતીને દેશના સૌથી યુવાન વિધાનસભ્ય બનવાનું માન મેળવી ગયા હતા. તે સમયે તેઓ 25 વરસનાં હતાં. ત્યારે તેને હરિયાણાના મુખ્યપ્રધાન દેવીલાલની કેબિનેટમાં પ્રધાન બનાવવામાં આવ્યાં હતા. 1996માં સુષમાજી દક્ષિણ દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં હતા. ત્યારબાદ સદગત અટલબિહારી વાજપેયીની સરકારમાં તેમને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન બનાવવામાં આવ્યાંહતાં.1999માં બેલ્લારીની લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર અને સોનિયા ગાંધીનો વિજય થયો હતો.
સુષમાજીએ આગામી લોકસભાની ચૂંટણી નહિ લડવાનું એલાન કર્યું તેની તેમના પતિ સ્વરાજ કૌશલે પ્રશંસા કરી હતી. સ્વરાજ કૌશલે તેમના ફેંસલાનું સ્વાગત કરતાં એક ટવીટમાં જણાવ્યું હતું કે, આપના આ ફેંસલા માટે ધન્યવાદ. મને એ સમય યાદ આવી ગયો જયારે દોડવીર મિલખા સિંઘે દોડવાનું બંધ કરી દીધું હતું. આપની મેરાથોન 1977માં શરૂ થઈ હતી. જે વાતને 41વરસનો સમય થયો છે. 1977થી આપે દરેક ચૂંટણીમાં ભાગ લીધો છે. જો કે 1991 અને 2004માં પાર્ટીએ આપને ચૂંટણી લડવાની પરવાનગી આપી નહોતી. આપે લોકસભાના ચાર કાર્યકાળ અને રાજ્યસભાના ત્રણ કાર્યકાળ પૂર્ણ કર્યા છે. જયારે આપ 25 વરસનાં હતાં, ત્યારથી ચૂંટણી લડી રહ્યા છો. મેડમ, હું છેલ્લા 46 વરસોથી આપની પાછળ સતત દોડતો રહ્યો છું. હવે હું 19 વરસની ઉંમરનો નથી. હવે હું થાકી ગયો છું. આપના આ નિર્ણય માટે આપને ધન્યવાદ આપું છું.