વાહન ઉત્પાદકોને વેન્ટિલેટર્સ બનાવવાની સૂચના અપાઇ

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના રોગચાળા સામેની લડતના ભાગરૂપે દેશની વેન્ટિલેટર્સની ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકારે વાહન ઉત્પાદકોને પોતાને ત્યાં વેન્ટિલેટર્સ બનાવવાની સૂચના આપી હતી. સરકારે જણાવ્યું હતું કે ડિફેન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) આગામી સપ્તાહથી દરરોજ ૨૦,૦૦૦ એન-૯૫ માસ્ક બનાવશે.મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની વિવિધ હોસ્પિટલમાં કોરોના વાઇરસ માટે અંદાજે ૧૪,૦૦૦ વેન્ટિલેટર અને આશરે ૧૧.૯૫ લાખ એન-૯૫ માસ્કનો જથો છે. દેશમાં છેલ્લાં બે દિવસ દરમિયાન વધારાના પાંચ લાખ માસ્કનું વિતરણ કરાયું હતું અને સોમવારે બીજા ૧.૪ લાખ માસ્કનું વિતરણ કરાશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ઉપક્રમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સ્થાનિક ઉત્પાદકોની સાથે મળીને આગામી બે મહિનામાં ૩૦,૦૦૦ વેન્ટિલેટરનું ઉત્પાદન કરશે.