વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું ….

 

   19મેના રોજ ગુજરાતની ત્વરિત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અમદાવાદ પહોંચીને એરપોર્ટ પર જ સમગ્ર પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. રાજયને તાત્કાલિક રાહત કાર્યો માટે રૂપિયા 1000 કરોડની આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું. ગુજરાત ઉપરાંત ઉપરાંત કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દીવ- દમણ અને દાદરા- નગર હવેલીમાં વાવાઝોડાનો ભાગ બનીને મૃત્યુ પામનારી વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા અનો ઘાયલ થયેલાને 50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત મોદીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી. અસરગ્રસ્ત  વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને અમદાવાદ પરત આવેલા વડાપ્રધાને યોજેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ સચિવ પંકજ કુમાર, આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ, રાહત કમિશનર હર્ષદ પટેલ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ હરિત શુકલાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાનને વાસ્તવિક સ્થિતિનો  તેમજ થયેલા નુકસાનનો અંદાજ આપ્યો હતો