
બોલીવુડના જાણીતા અભિનેતા રણવીર શૌરીએ ટવીટર પર વિડિયો શેર કરીને લોકોને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું છેકે, દેશમાં બેરોજગારી સહિત અનેક સમસ્યાઓ છે , જેનો દોષ પાંચ વર્ષ જૂની સરકારને આપવો એ યોગ્ય નથી. તેમણે કોંગ્રેસ પર વ્યંગ કરતાં કહ્યું હતું કે, જે લોકોે 60 વરસ દેશમાં શાસન કર્યું છે તે લોકો દેશની હાલત સુધારી શક્યા નથી તેઓ હવે ન્યાયની વાતો કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશના કેટલાક કલાકારો અને કલાધર્મીઓએ લોકોને જાણી – સમજીને મતદાન કરવાની અપીલ કરી છે. હું તેમના ઈરાદા સાથે સંમત છું., પણ એની સાથે સાથે મારી વ્યકિતગત સૂઝ-બૂઝ ને સમજદારી પણ સામેલ છે. મારો મત મારે કોને આપવો એમારી પોતાની સમજદારી પર નિર્ભર છે. મારી સમજણ એ મારી પોતાની છે. મારો મત પણ મારો મત છે. એ મત મારી બુધ્ધિનો, મારી સમજદારીનો ઉપયોગ કરીને જ આપીશ. આજે આપણા દેશના જે પ્રશ્નો છે શું છેલ્લા 5 વરસમાં જ પેદા થયા છે?શું પાંચ વરસ પહેલા આપણો દેશ યોગ્ય માર્ગ પર ચાલી રહ્યો હતો ? શું પાંચ વરસ પહેલાં આપણા દેશમાં બધું સુવ્યવસ્થિત અને આસાન હતું ? શું પાંચ વરસ પહેલાં આપણા દેશમાં કોઈ રમખાણો થયા નહોતા ? શું પાંચ વરસ પહેલાં આપણા દેશમાં કોઈ નિર્દોષ કે ગરીબ વ્યક્તિને ધર્મના નામ પર કચડી નાખવામાં નહોતી આવી ? શું પાંચ વરસ પહેલાં આપણા દેશમાં ભૂખમરો અને બેરોજગારી નહોતી ? આ બધી સમસ્યાઓની જવાબદારી પાંચ વરસથી ચાલતી સરકારના શિરે નાખવી એ યોગ્ય ન કહેવાય. એ અન્યાય છે. મારી સહુને અપીલ છેકે તમે તમારો મત ખૂબ જ સમજદારીનો ઉપયોગ કરીને આપો. મત એ દરેક નાગરિકનો પોતીકો અધિકાર છે. કોઈની સલાહથી દોરવાઈને મતનો ઉપયોગ ન કરાય.