લોકતંત્રમાં વિપક્ષ મહત્ત્વપૂર્ણ, કોંગ્રેસ મજબૂત બની રહેઃ ગડકરી

 

નવી દિલ્હીઃ ભાજપના ‘કોંગ્રેસમુક્ત ભારત’ સૂત્રથી અલગ કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મજબૂત થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે પ્રાદેશિક પક્ષોને વિપક્ષનું સ્થાન લેતા બચાવવા માટે કોંગ્રેસનું મજબૂત થવું જરૂરી છે. પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે અટલજી ૧૯૫૦ના દાયકામાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમનું સન્માન કરતા હતા. લોકતંત્રમાં વિપક્ષી પાર્ટીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. હું દિલથી કામના કરૂં છું કે કોંગ્રેસ મજબૂત બની રહે. જે કોંગ્રેસમાં છે તેમણે પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવતા પાર્ટીમાં જળવાઈ રહેવું જોઈએ. પરાજયથી નિરાશ ન થઈને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. કોઈએ ફક્ત ચૂંટણી હારી જવાથી નિરાશ થઇને પાર્ટી કે વિચારધારા ન છોડવી જોઇએ. દરેક પાર્ટીનો દિવસ આવે છે.