રેમડીસિવીર ઇન્જેશન માટે હોસ્પિટલમાં દાખલ નહિ થવું પડેઃ નીતિન પટેલ

 

અમદાવાદ, ગાંધીનગરઃ ગુજરાતમાં એક સમયે ૭૦૦થી ઓછા દર્દી હતા, પરંતુ સમગ્ર દેશમાં જે રીતે સંક્રમણ વધ્યું, તેના કારણે ગુજરાતમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં પણ સવા લાખ જેટલા દર્દીઓ આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રોજ અમારા કોર ગ્રૂપની મીટિંગ મળે છે, જેમાં સતત રિવ્યૂ કરાય છે. ગુજરાત સરકાર અને ઓરાગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામા આવી છે. પહેલા કેસ ઘટી ગયા હતા. કોરોનાના દર્દીઓની જે વ્યવસ્થા હતી, પરંતુ સંક્રમણ વધ્યું તેના કારણે ૩૦૦૦ હજારની આજુબાજુની સંખ્યામાં રોજ દર્દીઓ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે તો મોરબી જેવા સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. 

હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે, અનેક લોકો માત્ર રેમડીસિવીર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે ત્યારે આ મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે કે, માત્ર રેમડીસિવીર માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ નહિ થવું પડે, ઈન્જેક્શન લઈને ૨-૩ કલાકમાં ઘરે જઈ શકાશે. કોમ્યુનિટિ હોલમાં નર્સિંગ સ્ટાફના દેખરેખ હેઠળ ઈન્જેક્શન અપાશે. ત્યાર બાદ ૨ થી ૩ કલાકમાં ઈન્જેક્શન લઈને દર્દીઓ ઘરે જઈ શકશે. જેનાથી હોસ્પિટલમાં બેડ બચશે અને દર્દી ઇન્જેશન લઈને ઘર જઈ શકશે. બુધવારે ૧૫ લાખ વેક્સિનનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. બીજો નવો વધારાનો જથ્થો કેન્દ્ર સરકાર આપે તે માટે સંપર્કમાં છીએ. ૧ રૂપિયામાં ૩ લેયર માસ્ક રાજ્ય સરકાર નાગરિકોને આપશે, જે અમુલ પાર્લર પર મળશે. નીતિન પટેલેે વધુમાં જણાવ્યું કે, સુરતની મુલાકાત લઈને રિવ્યુ કર્યો. મેં વડોદરાની પણ મુલાકાત લીધી. રાજકોટની પરિસ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ધ્યાન રાખી રહ્યાં છે. જામનગર, મોરબીનો પણ રિવ્યૂ સતત કરી રહ્યાં છીએ. બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે પથારીઓમાં વધારો કરવાની સ્થિતિ પેદા થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો કે, અમદાવાદમાં મ્યુનિસિપલ સંચાલિત એસવીપી હોસ્પિટલની કુલ કેપેસિટી ૧૦૦૦ બેડની હતી. ૫૦૦ કોરોના માટે અને ૫૦૦ અન્ય બીમારીના સારવાર માટે રખાઈ હતી. પરંતુ કોરોનાના દર્દીઓ માટે એસવીપીમાં ૫૦૦ની કેપેસિટી વધારીને ૧૦૦૦ બેડની કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનની કોઈ વિચારણા નથી, પણ જે પણ નિર્ણયો લઈશું તે જાહેર કરીશું.

લોકડાઉનની બીકે રેલવે સ્ટેશન અને એસ.ટી. સ્ટેન્ડ પર કારીગરોની ભીડ

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વધવા માંડતા આ ઉદ્યોગો સાથે સંકળાયેલા બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન ભણી જવાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સપ્તાહમાં કોરોના કંટ્રોલમાં નહિ આવે તો કારીગરોની વણઝાર મોટી થવાની શક્યતા પણ રહેલી છે. 

ધાતુ અને સ્ટીલ  ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે છેલ્લા સાતેક દિવસથી ધીમી ગતિએ તેમના કારીગરોએ કોરોનાને કારણે તેમના વતન ભણી જવાનું ચાલુ કરી દીધું છે. લોકડાઉન આવી જાય તો ભેરવાઈ જવાના ભયથી તેમણે પાણી પૂર્વે જ પાળ બાંધતા હોય તેવા અભિગમ સાથે વતન જવાનું ચાલુ કર્યું છે. અમદાવાદના પૂર્વમાં આવેલ કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વિસ્તારોના સ્ટીલના વાસણો બનાવવાના એકમોમાંથી ઘણા માણસોએ સ્થળાંતર ચાલુ કરી દીધું છે. આ સિવાયના નાના એકમોમાંથી અને બિલ્ડરોની સાઈટ પરથી પણ માણસો ઓછા થવા માંડયા હોવાની શક્યતાને નકારી શકાતી નથી. આ સ્થળાંતરીઓ ગુરુવારે મોટી સંખ્યામાં અમદાવાદ રેલવે અને એસ.ટી. સ્ટેશનેથી સ્વદેશ જતાં જોવા મળ્યા હતા. 

કેમિકલ ઉદ્યોસ સાથે સંકળાયેલા અન્યનું કહેવું છે કે ઘરમાં કોરોનાના કેસ આવે તો તે કારીગરને પંદર દિવસ સુધી ફેક્ટરીમાં ન આવવાની સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ કોરોનાના કેસ વધશે તો તેની ચેઈન તોડવા માટે પણ ઔદ્યોગિક એકમોએ સાત દિવસ કે વધુ સમયનો બંધ પાડવાની ફરજ પડશે. આ સ્થિતિમાં કારીગરો તે તબક્કે મોટે પાયે સ્વદેશ તરફ રવાના થાય તેવી સંભાવનાને નકારી શકાતી નથી.