રાજ્યસભાની બેઠક માટે બાબુભાઈ દેસાઈ, કેસરીસિંહ ઝાલાની પસંદગી

ગાંધીનગરઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી ૨૪મી જુલાઈએ ચુંટણી યોજાનાર છે ત્યારે ભાજપે વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે બાબુભાઈ જેસંગભાઈ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરી છે. આ અગાઉ ભાજપ તરફથી એસ જયશકંર ઉમેદવારી ફોર્મ ભરી ચૂકયા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર ૮૩ વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિત્તાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો.
બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ વર્ષ ૨૦૦૭માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા. આ સિવાય તેઓ વર્ષ ૨૦૧૨થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેઓએ ઓલ્ડ એસએસસી ઉપરાંત અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. ભાજપે ગુજરાતની સાથે સાથે બંગાળના રાજ્યસભાના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. ભાજપે બંગાળમાંથી અનંત મહારાજના નામની જાહેરાત કરી છે. તેમને મિથુન ચક્રવર્તી જેવા નેતાઓને પાછળ છોડીને ટિકિટ મળી છે. અનંત મહારાજ ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશનના વડા છે.
આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ ૧૮ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.